
નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકના 13,000 કરોડના કૌભાંડના આરોપી મેહુલ ચોકસી હાલ બેલ્જીયમની જેલમાં બંધ છે. ભારત સરકાર તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. તેવા સમયે ભારત સરકારે બેલ્જીયમ સરકારને એક પત્ર લખ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બેલ્જિયમના કાયદા મંત્રીને પત્ર લખીને આશ્વાસન આપ્યું છે. જેમાં મેહુલ ચોકસીને ભારતને સોંપ્યા બાદ કેવી રીતે રાખવામાં આવશે. ભારતે બેલ્જિયમ સરકારને આશ્વસત કરી કે મેહુલ ચોકસીને એકાંત કારાવાસમાં રાખવામાં નહી આવે.
તિહાર જેલમાં બેરેક નંબર 12માં રાખવામાં આવશે
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મેહુલ ચોકસીને તિહાર જેલમાં બેરેક નંબર 12માં રાખવામાં આવશે. જેમાં વધારે કેદીઓ નહી હોય. તેમજ આ બેરેકમાં ચોવીસ કલાક વોચ રાખવામાં આવશે. જેમાં મેહુલ ચોકસીને ફર્નિચર ઉપરાંત 3 વર્ગ મીટરની જગ્યા આપવામાં આવશે.
તેમજ તેમને ઉપયોગ આપવામાં આવનારા ગાદલા અને તકિયા રૂના હશે. ચાદર અને રજાઈ પણ આપવામાં આવશે. તેમજ સારવાર દરમિયાન પલંગ પણ આપવામાં આવશે. આ બેરેકમાં યોગ્ય પ્રકાશ, હવા અને વ્યક્તિગત સામાન મુકવા માટે જગ્યા આપવામાં આવશે.
આ પણ વાંચો…વિજય માલ્યા, નીરવ મોદીને ભારત લાવવાની તૈયારી! બ્રિટિશ ટીમે તિહાર જેલની મુલાકાત લીધી…
પર્યાપ્ત ભોજન પણ પૂરું પાડવામાં આવશે
મેહુલ ચોકસીને દરરોજ પીવાનું શુદ્ધ પાણી અને ચોવીસ કલાક મેડિકલ સુવિધા મળશે. તેમને દરરોજ શૌચાલય અને સ્નાન માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમજ દરરોજ એક કલાકથી વધુ વ્યાયામ અને મનોરંજન માટે મંજુરી આપવામાં આવશે. તેમજ પર્યાપ્ત ભોજન પણ પૂરું પાડવામાં આવશે.
આ વર્ષે મેહુલ ચોકસીની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોકસીને ભારતને પ્રત્યાર્પણની સુનવણી સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહમાં થશે. ભારતની વિનંતી પર બેલ્જિયમે આ વર્ષે મેહુલ ચોકસીની ધરપકડ કરી હતી. તેને એટવર્પની જેલમાં રાખવામાં આવ્યો છે. તેમજ હાલમાં તેની જામીન અરજી રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…મેહુલ ચોક્સીની ધરપકડ પાછળ સરકારની કઈ યોજના કામે લાગી કે મહિનામાં મળ્યું પરિણામ, જાણો વિગતો?