હુમાયુ કબીરે મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધારી, કહ્યું ટીએમસીની મુસ્લિમ વોટબેંક સમાપ્ત થઈ જશે

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સસ્પેન્ડ ધારાસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ મોડલ પર મસ્જિદનો શનિવારે શિલાન્યાસ કર્યો હતો. જેની બાદ હવે મમતા બેનર્જીની ચિંતામાં વધારો થયો છે. હુમાયુ કબીરે મમતા બેનર્જીને ચેતવણી આપી છે. તેમણે મમતા બેનર્જીને કહ્યું કે પિક્ચર અભી બાકી હે, ટીએમસીની મુસ્લિમ વોટબેંક સમાપ્ત થઈ જશે.
હુમાયુ કબીરે એક નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી
એક ટીવી ચેનલ સાથે ચર્ચા દરમિયાન હુમાયુ કબીરે એક નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ 22 ડિસેમ્બરે પોતાની પાર્ટી શરૂ કરશે અને AIMIM સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કરશે. પશ્ચિમ બંગાળમાં વર્ષ 2026માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે હુમાયુએ જાહેરાત કરી છે કે તેઓ બંગાળની 294 બેઠકોમાંથી 135 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. તેમની નજર રાજ્યમાં મુસ્લિમ બહુમતી બેઠકો પર છે.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ મોડલ પર મસ્જિદનો શિલાન્યાસ, ભાજપે કર્યા આક્રમક પ્રહાર…
હું કંઈ ગેરકાયદે કામ નથી કરી રહ્યો
આ ઉપરાંત મુર્શિદાબાદમાં એકત્ર થયેલા લોકોને સંબોધતા કબીરે કહ્યું હતું કે, હું કંઈ ગેરકાયદે કામ નથી કરી રહ્યો. કોઈ પણ મંદિર બનાવી શકે છે, કોઈ પણ ચર્ચ બનાવી શકે છે. હું મસ્જિદ બનાવીશ. એવું કહેવામાં આવી રહ્યું છે કે આપણે બાબરી મસ્જિદ બનાવી શકતા નથી. આ ક્યાંય લખ્યું નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે હિન્દુઓએ બાબરી મસ્જિદ તોડી નાખી હતી. હિન્દુઓની ભાવનાઓને ધ્યાનમાં રાખીને અહીં મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આપણે સાગર દીઘીમાં રામ મંદિરનો પાયો કોઈ નાખતું જોઈ રહ્યા છીએ. પરંતુ બંધારણ આપણને મસ્જિદ બનાવવાની મંજૂરી આપે છે.
આ પણ વાંચો : મુર્શિદાબાદમાં ‘બાબરી’ મસ્જિદના શિલાન્યાસની તૈયારી, 3000 પોલીસ કર્મીઓ તૈનાત
કોઈપણ વ્યક્તિને મસ્જિદ બનાવવાનો અધિકાર
કબીરે કહ્યું કે કાનૂની પડકારો મસ્જિદના નિર્માણમાં અવરોધ નહીં લાવે. તેમણે કહ્યું, મારી વિરુદ્ધ પાંચ કેસ દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ જેની જોડે અલ્લાહ છે તેને કોઈ રોકી શકતું નથી.કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતના બંધારણમાં લખેલું છે કે કોઈપણ વ્યક્તિને મસ્જિદ બનાવવાનો અધિકાર છે.



