ટોપ ન્યૂઝનેશનલ

ઉપરાષ્ટ્રપતિએ ‘સુપ્રીમ’ના ચુકાદા અંગે કર્યો સવાલ, આર્ટિકલ 142 ન્યુક્લિયર મિસાઈલ બની ગયો

કલમ 142 અન્વયે કોર્ટને આપેલા 'વિશેષ અધિકાર' લોકશાહીની શક્તિઓની સામે ઘાતક બન્યો

નવી દિલ્હી: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બંધારણની કલમ 142 હેઠળ આપવામાં આવેલી સુપ્રીમ કોર્ટની સત્તાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તે અદાલતો સુપર સંસદની જેમ કામ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને બિલોને મંજૂરી આપવા માટે ડેડલાઈન નક્કી કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે કહ્યું કે અદાલતો રાષ્ટ્રપતિને આદેશ આપી શકતી નથી.

142 લોકશાહી તાકાત સામે પરમાણુ મિસાઇલ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બંધારણની કલમ 142 હેઠળ આપવામાં આવેલી સુપ્રીમ કોર્ટની સત્તાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા હતા, જેમાં રાષ્ટ્રપતિને રાજ્યો દ્વારા મોકલવામાં આવેલા બિલ પર હસ્તાક્ષર કરવા માટે સમયમર્યાદા નક્કી કરવા કહેવામાં આવ્યું હતું. તેમણે અદાલતો સુપર સંસદની જેમ કામ કરી રહી છે તેના અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે કલમ 142 લોકશાહી તાકાત સામે પરમાણુ મિસાઇલ બની ગઈ છે, જે ન્યાયતંત્ર માટે 24 કલાક ઉપલબ્ધ છે.

બંધારણની કલમ 142 શું કહે છે

વાસ્તવમાં બંધારણની કલમ 142 ભારતની સુપ્રીમ કોર્ટની એ અધિકાર આપે છે કે તેઓ પૂર્ણ ન્યાય (કમ્પલીટ જસ્ટિસ) કરવા માટે કોઈ પણ આદેશ, નિર્દેશ યા નિર્ણય આપી શકે છે, ચાહે પછી એ કોઈ પણ કેસ હોય. લોકશાહીમાં ચૂંટવામાં આવેલી સરકાર સૌથી મહત્ત્વની હોય છે અને તમામ સંસ્થાઓ પોતપોતાની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ સંસ્થા બંધારણથી ઉપર નથી.

એક ચુકાદામાં રાષ્ટ્રપતિને નિર્દેશ

રાજ્યસભાના પ્રશિક્ષિત વર્ગને સંબોધતા ધનખડે કહ્યું હતું કે તાજેતરના જ એક ચુકાદામાં રાષ્ટ્રપતિને નિર્દેશ આપવામાં આવ્યો છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? દેશમાં શું થઈ રહ્યું છે? આપણે અત્યંત સંવેદનશીલ રહેવું પડશે. પિટિશન દાખલ કરવાનો કે ન કરવાનો પ્રશ્ન નથી. આપણે આ માટે ક્યારેય લોકશાહી સાથે સમાધાન કર્યું નથી. રાષ્ટ્રપતિને સમયમર્યાદામાં નિર્ણય લેવાનું કહેવામાં આવી રહ્યું છે.”

આ પણ વાંચો: Rajya Sabhaમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને હંગામો, અધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસને આડે હાથે લીધી

સુપર સંસદ તરીકે કાર્ય કરશે

તમિલનાડુ રાજ્ય વિરુદ્ધ રાજ્યપાલના કેસમાં સુપ્રીમ કોર્ટના 8 એપ્રિલના ચુકાદાનો ઉલ્લેખ કરતા, ધનખડે કહ્યું હતું કે તો… આપણી પાસે એવા ન્યાયાધીશ છે જે કાયદા બનાવશે, જે કારોબારી કાર્યો કરશે, જે સુપર સંસદ તરીકે કાર્ય કરશે અને છતાં તેમની જવાબદારી રહેશે નહીં કારણ કે દેશનો કાયદો તેમના પર લાગુ પડતો નથી.” તેમણે સભાને જણાવ્યું હતું કે ભારતમાં રાષ્ટ્રપતિનું પદ ખૂબ જ ઊંચું છે અને રાષ્ટ્રપતિ બંધારણનું રક્ષણ, જાળવણી અને બચાવ કરવા માટે શપથ લે છે જ્યારે મંત્રીઓ, ઉપરાષ્ટ્રપતિ, સાંસદો અને ન્યાયાધીશો સહિત અન્ય લોકો બંધારણનું પાલન કરવા માટે શપથ લે છે.

આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ નહીં

તેમણે વધુમાં કહ્યું હતું કે આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ નહીં, જ્યાં તમે ભારતના રાષ્ટ્રપતિને નિર્દેશ આપો અને કયા આધારે? બંધારણ હેઠળ તમારી પાસે એકમાત્ર સત્તા કલમ 145 (૩) હેઠળ બંધારણનું અર્થઘટન કરવાની છે, જે ન્યાયાધીશોએ રાષ્ટ્રપતિને મૂળભૂત રીતે આદેશો જારી કર્યા છે અને એવું દૃશ્ય ઊભું કર્યું કે આ દેશનો કાયદો છે, તેઓ બંધારણની શક્તિ ભૂલી ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button