નેશનલ

નિવૃત્તિના નિવેદન પર વસુધરા રાજેનો યુ-ટર્ન, જાણો શું કહ્યું

રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. નિવૃત્તિના નિવેદન પર વસુંધરા રાજેએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘આ વાત મજાકમાં કહેવામાં આવી હતી, મેં આ વાત દુષ્યંતની પરિપક્વતાના સંદર્ભમાં કહી હતી. જો હું નિવૃત્ત થઈ ગઈ હોઉં તો હું શા માટે ઉમેદવારી નોંધાવું? મેં રાજ્યની સેવા કરી છે અને કરતી રહીશ. પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે છેલ્લા બે દિવસથી ઝાલાવાડ જિલ્લાના પ્રવાસે છે.

હકીકતમાં રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસુંધરા રાજેએ શુક્રવારે જ ઝાલાવાડની એક સભામાં સંબોધન કરતી વખતે નિવૃત્તિનો સંકેત આપ્યો હતો. ઝાલાવાડના પ્રવીણ શર્મા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત સભામાં રાજેએ કહ્યું હતું કે મારા પુત્ર દુષ્યંત સિંહની વાત સાંભળીને હવે મને લાગે છે કે મારે સંન્યાસ લઈ લેવો જોઈએ. તમારા લોકોના પ્રેમ અને લાગણીને કારણે દુષ્યંત સિંહ હવે પરિપક્વ બની ગયા છે.. હવે મારે દખલ કરવાની કે તેના પર નજર રાખવાની જરૂર નથી. વસુંધરા રાજેના આ નિવેદન બાદ અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું.

રાજેએ કહ્યું કે હું ઝાલાવાડના લોકોને સલામ કરું છું, તેઓએ મને પુત્રી, બહેન અને માતાના રૂપમાં અપાર પ્રેમ આપ્યો છે. મારા 34 વર્ષ ક્યારે વીતી ગયા એનો મને ખ્યાલ પણ ન રહ્યો. આ મારું દસમું નોમિનેશન હશે. રાજેએ કહ્યું કે લોકો ઉમેદવારી નોંધાવ્યા પછી પોતાનો વિસ્તાર છોડતા નથી, પરંતુ અહીંના લોકો કહે છે કે અમે અહીં સંભાળ લઈશું, તમે અન્ય કામ કરો. આવી સ્થિતિમાં મારે પાછા ફરવાની જરૂર નથી. ઝાલાવાડ એક એવો પરિવાર છે જે તેનું નામ રોશન કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button