
ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના બારકોટ વિસ્તારમાં મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રે 1 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે 17 મજૂરો એક બાંધકામ સ્થળ પર કામ કરી રહ્યા હતા. અચાનક વાદળ ફાટવાની ઘટનાને કારણે મજૂરો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. હાલમાં એસડીઆરએફ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ બચાવ કામગીરી ચાલુ છે. આ વિસ્તારમાં ભારે વરસાદ અને કાટમાળને કારણે પરિસ્થિતિ ગંભીર છે. જેમાં બચાવ ટીમ કાટમાળમાં દટાયેલા મજૂરોને શોધી રહી છે.
ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ પણ ઘટનાસ્થળે તૈનાત
સ્થાનિક વહીવટીતંત્ર ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ પણ ઘટનાસ્થળે તૈનાત છે. આ ઘટનાસ્થળની નજીકના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. મોડી રાત્રે ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે બારકોટ તાલુકાના યમુનોત્રી વિસ્તારમાં પણ નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ મોડી રાત્રે યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાદળ ફાટવાની ઘટના બની છે. જેના કારણે ઘણા લોકો નજીકમાં ફસાયા છે.
વાદળ ફાટવાથી મોટું નુકસાન
જેમાં મળતી માહિતી મુજબ નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે. ઘણી જગ્યાએ ભારે નુકસાન થવાની સંભાવના છે. કેટલીક જગ્યાએ યમુનોત્રી હાઇવે બ્લોક કરવામાં આવ્યો છે. પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફ ઘટનાસ્થળે રવાના થયા છે. સિયાનાચટ્ટી નજીક નાળામાં કાટમાળ પડવાથી યમુના નદીનો પ્રવાહ બંધ થઈ ગયો છે. જેના કારણે સિયાનાચટ્ટીના નીચલા વિસ્તારમાં બનેલી હોટલો માટે ખતરો ઉભો થયો છે.
8 થી 9 કામદારો ગુમ થયાના અહેવાલ
આ અંગે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના જણાવ્યા અનુસાર તહેસીલ બારકોટમાં સિલાઈ વાંડ નજીક ભારે વાદળ ફાટવાની માહિતી છે. એસડીઆરએફ પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જ્યારે 8 થી 9 કામદારો ગુમ થયાના અહેવાલ છે. શોધખોળ કામગીરી ચાલુ છે અને સિલાઈ બંધ નજીક બે-ત્રણ સ્થળોએ યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ બ્લોક કરવામાં આવ્યો છે. જેના સંદર્ભમાં નેશનલ હાઇવે બારકોટને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો…હિમાચલ પ્રદેશના શિમલામાં વાદળ ફાટ્યું, 10થી વધુ ગાડીઓ પૂરના પાણીમાં તણાઇ