ભાજપને આંચકો આપવાની તૈયારીમાં ઓમ પ્રકાશ રાજભર, Maharashtra સહિત અનેક રાજ્યોમાં કરશે એન્ટ્રી

લખનૌ : ઉત્તર પ્રદેશમાં પ્રખ્યાત સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના 13 રાજ્યોમાં સંગઠન છે. પરંતુ હવે પહેલીવાર પાર્ટી ઉત્તર પ્રદેશની બહાર મુંબઈ, મહારાષ્ટ્રમાં(Maharashtra) તેનું રાષ્ટ્રીય અધિવેશન કરવા જઈ રહી છે. આ સંમેલન 21 અને 22 ઓગસ્ટના રોજ ભારતરત્ન ગણસમરાગિણી લતા મંગેશકર નાટ્ય ગૃહ, મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઈ ખાતે યોજાશે. જેમાં 13 રાજ્યોના પદાઅધિકારીઓ ભાગ લેવાના છે. આ સંમેલનમાં મહારાષ્ટ્રના વિવિધ જ્ઞાતિ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે સંવાદ થશે.
મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી લડવાની તૈયારી
ઉત્તર પ્રદેશની બહાર સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનું આ પ્રથમ સંમેલન છે. 2002માં બનેલી આ પાર્ટીએ અત્યાર સુધી લખનૌ, વારાણસી, મૌ, બલિયા સહિત ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં સત્રો યોજ્યા છે. આ સંમેલનમાં ઘણા વિષયો પર ચર્ચા થવાની છે, જેમાં સ્થાનિક રાજ્યોના પ્રતિનિધિઓ ત્યાંની વર્તમાન સ્થિતિ અને આગામી ચૂંટણીમાં ગઠબંધનના સંજોગો વિશે ચર્ચા કરશે. પાર્ટી આગામી દિવસોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી લડવા માંગે છે. આ અંગેની વિસ્તૃત રણનીતિ પણ આ બેઠકમાં બનાવવામાં આવશે.
આ રાજ્યો પર નજર
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ રાજભરે વાતચીતમાં જણાવ્યું કે અત્યાર સુધી પાર્ટીના યુપી, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યોમાં સંગઠન છે. અમે છેલ્લા કેટલાક વર્ષોથી આમાંથી કેટલાક રાજ્યોમાં ચૂંટણી પણ લડી રહ્યા છીએ. પરંતુ આ બેઠકમાં અમે આ રાજ્યોમાં ગઠબંધનના સંજોગો પર ચર્ચા કરીશું અને કોની સાથે ગઠબંધનમાં જવું તે અંગે વિચારણા કરીશું. આ સાથે પાર્ટી દ્વારા પાસ કરાયેલા પ્રસ્તાવ પર પણ સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે.
અન્ય ઘણી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા માંગે છે
સુભાસપાનું યુપીમાં ભાજપ સાથે ગઠબંધન છે. સુભાસપા ગયા વર્ષે જુલાઈ મહિનામાં જ એનડીએનો હિસ્સો બની હતી. તેની બાદ યોગી સરકારમાં સુભાસપાના વડા ઓમ પ્રકાશ રાજભરને મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે સુભાસપા વિધાનસભા ચૂંટણી માટે અન્ય રાજ્યોમાં અન્ય ઘણી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા માંગે છે.