યુપી વિધાનસભામાં કફ સિરપ કાંડ મુદ્દે વિપક્ષનો હોબાળો, યોગીએ કહ્યું કોઇનું મોત નથી થયું

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થયું છે. જેમાં કફ સિરપ કાંડ મુદ્દે વિપક્ષ સતત હોબાળો કરી રહ્યું છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષને જવાબ આપ્યો છે. તેમજ કહ્યું છે કોડીન કફ સિરપ કાંડમાં રાજ્યમાં કોઇનું મૃત્યુ નથી થયું. તેમજ સરકાર તેના દોષિતો વિરુદ્ધ કડક કાયર્વાહી કરી રહી છે.
વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું
જોકે, સીએમ યોગીના સંબોધન બાદ પણ વિપક્ષે વિરોધ ચાલુ રાખ્યો હતો. વિપક્ષી ધારાસભ્યોએ વેલમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ હોબાળા બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. જ્યારે કફ સિરપ કેસ અંગે મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સિરપથી હજુ સુધી કોઈ મૃત્યુ થયું નથી. સપા આ ઉંમરે પણ વિપક્ષી નેતાને જૂઠું બોલવા માટે મજબૂર કરી રહી છે. આ આરોપીને વર્ષ 2016 માં સપા દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું હતું.
78 લોકોની ધરપકડ કરવામાં આવી
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 79 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 225 લોકોનું નામ આપવામાં આવ્યું છે. તેમજ 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 134 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આખરે મામલો આખરે સપા સુધી પહોંચે છે. સપા યુવા વાહિની નેતાના ખાતામાંથી વ્યવહારો કરવામાં આવ્યા હતા. તેમજ સમય આવતા બુલડોઝર કાર્યવાહી પણ કરવામાં આવશે.
18 મહિના પછી પણ કોઈ કાર્યવાહી નહિ
આ દરમિયાન સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અતુલ પ્રધાને સરકારને કફ સિરપ અંગે પ્રશ્ન કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે આ કેસમાં એટલા બધા હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે સરકાર તેમના સુધી પહોંચી શકતી નથી. રાજધાનીના સુશાંત ગોલ્ફ સિટીમાં સીરપનો જથ્થો મળી આવ્યો હતો. સ્પેશિયલ ટાસ્ક ફોર્સને તપાસ સોંપવામાં આવી હતી. જોકે, 18 મહિના પછી પણ કોઈ કાર્યવાહી નથી થઇ.
આપણ વાંચો: હોસ્પિટલે દર્દીનાં સગાંને આઈસીયુ-વેન્ટિલેટર વગેરેનો ખર્ચ પહેલાંથી કહેવો પડશે, કેન્દ્રનું ફરમાન



