Udaipur હિંસાઃ દેવરાજની અંતિમ યાત્રામાં ઉમટી ભીડ, ભારે સુરક્ષા વચ્ચે થયા અંતિમ સંસ્કાર | મુંબઈ સમાચાર

Udaipur હિંસાઃ દેવરાજની અંતિમ યાત્રામાં ઉમટી ભીડ, ભારે સુરક્ષા વચ્ચે થયા અંતિમ સંસ્કાર

રાજસ્થાનના ઉદયપુરમાં એક સરકારી શાળામાં સોમવારે હિંદુ વિદ્યાર્થી દેવરાજનું છરી વડે હુમલામાં મોત થયું હતું. તેમના પિતા અને પિતરાઈ ભાઈ દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અંતિમયાત્રામાં ઉમટેલી ભીડ સૂત્રોચ્ચાર કરતી જોવા મળી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. દેવરાજના ઘરથી સ્મશાન સુધી નીકળેલી અંતિમ યાત્રાના રૂટ પર ડ્રોનથી નજર રાખવામાં આવી હતી.

સોમવારે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને ગુનેગારને સજા સહિતની અનેક માગણીઓ સાથે વિરોધ શરૂ કર્યો હતો. ત્યાર બાદ મૃતકના પરિવારજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ કેસમાં એસસી-એસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય મૃતકના પરિવારને 51 લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપવાની વાત કરવામાં આવી છે. અંતિમયાત્રાના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ભારે પોલીસ દળ વિસ્તારમાં તૈનાત જોઈ શકાય છે.

ઉદયપુરના સાંસદ મુન્નાલાલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તપાસની માંગ કરી હતી.

નોંધનીય છે કે શુક્રવારે 16 ઓગસ્ટ 2024ના રોજ સવારે ઉદયપુર શહેરની એક સરકારી શાળાની બહાર દેવરાજ નામના વિદ્યાર્થીને ચાકુ મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો. બાદમાં માહિતી મળી હતી કે હુમલો કરનાર વિદ્યાર્થી મુસ્લિમ સમુદાયનો હતો. હુમલાની માહિતી મળતા જ શાળાના શિક્ષકો ઘાયલ વિદ્યાર્થીને મહારાણા ભૂપાલ સિંહ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ સમાચારની જાણ થતા જ હિન્દુ સંગઠનો પણ રસ્તા પર આવી ગયા હતા. આ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર થયા હતા. થોડી જ વારમાં લોકોમાં ગુસ્સો વધી ગયો અને હિંદુ કામદારો બજારમાં પહોંચી ગયા હતા. આ પછી લોકોએ ઘટનાના વિરોધમાં બજાર બંધ કરાવ્યું હતું અને બાદમાં આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.

Also Read –

સંબંધિત લેખો

Back to top button