સેફ્ટીમાં બાંધછોડ?: રેલવેમાં ટ્રેન ડ્રાઈવર્સની આટલા ટકા પોસ્ટ ખાલી

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં 15 ટકા ટ્રેન ડ્રાઇવરની જગ્યા ખાલીRTI, હોવાનું એક આરટીઆઇના જવાબમાં ભારતીય રેલવે બોર્ડે ચોંકાવનારી માહિતી આપી હતી. સમગ્ર દેશમાં તમામ રેલવે ઝોનમાં ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવરની કુલ 1,27,644 મંજૂર કરવામાં આવેલી પોસ્ટમાંથી 18,766 (લગભગ 14.7 ટકા) 1 માર્ચ, 2024ના રોજ ખાલી પડી હતી. આસિસ્ટન્ટ ડ્રાઇવરોની સરખામણીમાં ડ્રાઇવરોની ખાલી જગ્યાઓની સંખ્યા ઘણી વધારે છે, એમ એક આરટીઆઇ (રાઈટ ટૂ ઈન્ફર્મેશન)ના જવાબમાં રેલવે બોર્ડે જાણકારી આપી હતી.
ડેટાની સમીક્ષા કરતા જાણવા મળ્યું હતુ કે ટ્રેન ડ્રાઇવર્સની મંજૂર પોસ્ટ્સ 70,093 છે, જેમાંથી 14,429 (લગભગ 20.5 ટકા) ખાલી છે જ્યારે આસિસ્ટન્ટ ડ્રાઈવર માટે, 57,551ની કુલ મંજૂર પોસ્ટ્સમાંથી માત્ર 4,337 (લગભગ 7.5 ટકા) ખાલી છે. મધ્યપ્રદેશ સ્થિત ચંદ્ર શેખર ગૌરે આરટીઆઇ અરજી દાખલ કરી હતી.
ઝોન-પ્રમાણે ખાલી જગ્યાની સ્થિતિ માટે પૂછ્યું હતું, પરંતુ રેલવે બોર્ડે કહ્યું હતું કે આવો ડેટા કેન્દ્રીય રીતે જાળવવામાં આવતો નથી. વિવિધ રેલવે યુનિયનો અને ડ્રાઇવર્સ એસોસિએશનો જણાવ્યા પ્રમાણે ખાલી જગ્યાઓને કારણે ક્રૂની હાલની સંખ્યાના ફરજના કલાકોમાં વધારો થાય છે કારણ કે તેમને ખાલી જગ્યાઓ માટે પણ વળતર આપવું પડે છે.
ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આનાથી ડ્રાઈવરો પર કામનું દબાણ અને તણાવ વધી રહ્યો છે જે સુરક્ષિત ટ્રેન સંચાલનના હિતમાં નથી. ડ્રાઇવર્સ યુનિયનના કહેવા પ્રમાણે ખાલી જગ્યાઓની સંખ્યા ડેટા દર્શાવે છે તેના કરતાં વધુ હોઈ શકે છે કારણ કે લગભગ બે થી ત્રણ ટકા ડ્રાઇવર સત્તાવાર રેકોર્ડમાં તેમની નોકરીની ભૂમિકા બદલ્યા વિના વિવિધ ઓફિસ જોબ કરે છે.
ભારતીય રેલવે લોકો રનિંગમેન ઓર્ગેનાઇઝેશનના કાર્યકારી પ્રમુખ સંજય પાંધીએ જણાવ્યું હતું કે મારા મત મુજબ ડ્રાઇવરો અને આસિસ્ટન્ટ ડ્રાઇવરો બંનેની એકંદર ખાલી જગ્યા લગભગ 17 થી 18 ટકા હોવી જોઈએ કારણ કે બેથી ત્રણ ટકા લોકો પાઇલોટ એવા છે જેઓ ઓફિસોમાં જુદી જુદી ક્ષમતામાં કામ કરે છે, પરંતુ રેલવે રેકોર્ડમાં તેમની નોકરીની કેટેગરીની ડ્રાઇવરની છે.
મોટરમેન/લોકો પાઈલટ અને આસિસ્ટંટ લોકો પાઈલટની ખાલી પડેલી જગ્યાને તાકીદે ભરતી કરવાનું જરુરી છે, જેની ભરતી થાય નહીં તો બીજા કાર્યરત સ્ટાફ પર કામનું ભારણ વધે છે. એટલું જ નહીં તેને કારણે અકસ્માતનું જોખમ વધી શકે છે, તેથી ભરતી કરવાનું જરુરી છે, એમ રેલવેના સંગઠને જણાવ્યું હતું.