બાંગ્લાદેશમાં હિંદુ વેપારીને સળગાવીને હત્યા કરવાના કેસમાં ત્રણ આરોપીની ધરપકડ

ઢાકા : બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં હિંદુ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.આ દરમિયાન બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં એક હિંદુ વેપારીની ક્રૂર હત્યા કરીને સળગાવી દેવામાં આવ્યા હતા. જેના આરોપમાં રવિવારે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
ઢાકાથી લગભગ 100 કિલોમીટર દક્ષિણમાં શરિયતપુર જિલ્લાના કેયુરભંગા બજાર નજીક બુધવારે રાત્રે 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારે તેમનું મૃત્યુ થયું. રેપિડ એક્શન બટાલિયનની એક ટીમે રવિવારે સવારે ઉત્તરપૂર્વમાં કિશોરગંજમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
આપણ વાચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પર સંકટ: 10 મહિનામાં 2,400થી વધુ હુમલા, અનેક હત્યાઓથી ફફડાટ
આરોપીઓને કિશોરગંજથી મદારીપુર કેમ્પ લવાયા
રેપિડ એક્શન બટાલિયને આપેલી માહિતી મુજબ ધરપકડ કરાયેલા લોકોની ઓળખ 27 વર્ષીય દામુદ્યાર સોહાગ ખાન, 21 વર્ષીય રબ્બી મોલ્યા અને 25 વર્ષીય પલાશ સરદાર તરીકે થઈ છે. મદારીપુર કેમ્પ કંપની કમાન્ડર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ મીર મોનીર હુસૈને જણાવ્યું હતું કે આરોપીઓને કિશોરગંજથી મદારીપુર કેમ્પ લાવવામાં આવી રહ્યા છે.
હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.
જેમાં સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ ઘટના દામુદ્યાના કોનેશ્વર યુનિયનમાં કેયુરભંગા માર્કેટ નજીક બની હતી. દાસ પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઉપદ્રવીઓના એક જૂથે તેમને રોક્યા હતા. તેમજ હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.
પેટ્રોલ છાંટીને તેમને આગ ચાંપી દીધી
હુમલાખોરોએ તેમના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. પોતાને બચાવવાના પ્રયાસમાં ચંદ્ર દાસ રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં કૂદી પડ્યા હતા. તેમની ચીસો સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે આવ્યા હતા અને હુમલાખોરોને ભગાડી દીધા હતા.
અહેવાલ મુજબ, સ્થાનિકોએ દાસને બચાવ્યા હતા અને શરૂઆતમાં તેમને શરિયતપુર સદર હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.પરંતુ બાદમાં તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને ઢાકા રિફર કરવામાં આવ્યા હતા.



