રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે હવે આ સ્ટાર ક્રિકેટરને મળ્યું આમંત્રણ
![This star cricketer has now received an invitation for the Ram Mandir Pran Pratistha program](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/Dhiraj-2024-01-15T194641.403.jpg)
રાંચીઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ સહિત રાજકારણીઓને આમંત્રણ મળી રહ્યા છે ત્યારે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસના નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપવાનું નિવેદન આપીને ચર્ચામાં રહ્યા છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી નહીં આપે એવું જાણીતા ધર્મગુરુઓએ નિવેદન આપ્યું છે ત્યારે જાણીતા ક્રિકેટરોને આ આમંત્રણ મળી રહ્યું છે.
આજે ભારતના સ્ટાર વિકેટકિપર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ માટે આમંત્રણ મળ્યું હતું. ઝારખંડ ભાજપના અધિકારીઓએ ધોનીને આમંત્રણ પત્રિકા આપવા પહોંચ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના રાંચી ડિસ્ટ્રિક્ટ મેટ્રોપોલિટન જનરલ સેક્રેટરી વરુણ કુમારે કહ્યું હતું કે રાજ્યના બીજેપીના સંગઠન મંત્રી કર્મવીર સિંહે માહીને આમંત્રણ આપ્યું હતું. તેમને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવવા માટે વિનંતી કરવામાં આવી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શ્રી રામ લલ્લા અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 22 જાન્યુઆરી પછી લોકો રામ લલ્લાના દર્શન કરવા જઈ શકશે.