દેશને વર્ષ 2047 સુધી વિકસિત બનાવવા માટે યુવાનો પાસેથી સૂચનો માગશે સરકાર..
![The government will seek suggestions from the youth to develop the country till 2047](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Dhiraj-2023-12-10T180423.918.jpg)
નવી દિલ્હી: વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પોતાના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સરકાર યુવાનો પાસેથી સૂચનો માગશે, તેવું નીતિ આયોગના મુખ્ય કાર્યપાલક અધિકારી બી વી સુબ્રમણ્યમે જણાવ્યું હતું. આ માટે સરકાર યુનિવર્સિટીઓમાં એક ખાસ પ્રકારનો કાર્યક્રમ કરશે.
સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે વિકસિત ભારત વિશે યુવાનોના વિચાર જાણવા માટે પીએમ મોદી સોમવારે 700થી વધુ યુનિવર્સિટીઓના કુલપતિઓની દેશભરના રાજભવનોમાં આયોજીત કાર્યશાળાઓને સંબોધિત કરશે. તેમણે જણાવ્યું હતું કે ભારતને વર્ષ 2047 સુધી લગભગ 30 લાખ કરોડ ડોલરનું વિકસિત અર્થતંત્ર બનાવવા વિશેનું એક દ્રષ્ટિપત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેને જાન્યુઆરીના અંત સુધીમાં પીએમ મોદી દ્વારા જાહેર કરવામાં આવશે.
આ માટે પરિવર્તન લાવે તેવા નવા જ પ્રકારના વિચારોની આવશ્યકતા છે, કેમકે પરંપરાગત પદ્ધતિઓથી મદદ નહીં મળે. સુબ્રમણ્યમે કહ્યું હતું કે યુવાનો અને બાકીના તમામ લોકો જેમની પાસેથી સૂચનો અપેક્ષિત છે, તેમના માટે વેબ પેજ એક મહીના સુધી સક્રિય રાખવામાં આવશે. આ પેજ પર લોકો ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવા માટે જરૂરી સૂચનો મોકલી શકશે.