માતા-પિતાની ઉપેક્ષા કરશો તો પગારમાંથી 15% કપાશે! ભારતમાં આ રાજ્ય બનાવી રહ્યું છે કડક કાયદો...
નેશનલ

માતા-પિતાની ઉપેક્ષા કરશો તો પગારમાંથી 15% કપાશે! ભારતમાં આ રાજ્ય બનાવી રહ્યું છે કડક કાયદો…

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડીની સરકારે એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં એવો કાયદો લાવશે, જે અંતર્ગત જો કોઈ સરકારી કર્મચારી પોતાના માતા-પિતા સાથે ગેરવર્તન કરશે કે તેમની ઉપેક્ષા કરશે, તો તેના પગારનો 10 થી 15 ટકા હિસ્સો કાપી લેવામાં આવશે અને તે રકમ સીધી માતા-પિતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

નવા નિયુક્ત થયેલા ગ્રુપ-2ના કર્મચારીઓને નિમણૂક પત્રો સોંપતી વખતે મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ આ જાહેરાત કરી હતી. તેમણે કર્મચારીઓને જનતાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દાખવવાનો અનુરોધ કર્યો હતો, અને સાથે જ પોતાના માતા-પિતા સાથે પણ સારો વ્યવહાર કરવા પર ભાર મૂક્યો હતો.

મુખ્ય પ્રધાને કહ્યું, “અમે એક કાયદો લાવી રહ્યા છીએ. જો કોઈ સરકારી કર્મચારી પોતાના માતા-પિતાની ઉપેક્ષા કરશે, તો તેના પગારનો 10 થી 15 ટકા હિસ્સો કાપીને માતા-પિતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તમને જેમ માસિક પગાર મળે છે, તેમ અમે એ સુનિશ્ચિત કરીશું કે તમારા માતા-પિતાને પણ તેમાંથી માસિક આવક મળી રહે.”

રેડ્ડીએ તાત્કાલિક મુખ્ય સચિવ રામકૃષ્ણ રાવને આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે અધિકારીઓની એક સમિતિ બનાવવાનો આદેશ પણ આપ્યો છે. આ કાયદો લાગુ થવાથી સરકારી કર્મચારીઓમાં તેમના વડીલો પ્રત્યેની જવાબદારી વધશે અને ઉપેક્ષાનો સામનો કરી રહેલા માતા-પિતાને નિયમિત આર્થિક મદદ મળી શકશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button