ગુજરાતીઓને ઠગ કહેનારા તેજસ્વી યાદવને 4 નવેમ્બરે કોર્ટનું તેડું

બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આજે સુનાવણીમાં તેજસ્વી યાદવ વતી તેમના વકીલ સોમનાથ વત્સ કોર્ટમાં હાજર રહ્યા હતા અને કોર્ટ સમક્ષ માફી અરજી મુકી હતી. અમદાવાદ મેટ્રો કોર્ટે માફી અરજી માટે એક દિવસનો સમય આપ્યો છે. આ સાથે કોર્ટે 4 નવેમ્બરના રોજ તેજસ્વી યાદવને હાજર રહેવા પણ ફરમાન કર્યું છે. અગાઉ કોર્ટે અનેક સાક્ષીઓને સાંભળ્યા હતા. સાક્ષીઓને સાંભળ્યા બાદ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું હતું. આ કેસની આગામી સુનાવણી 4 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ તેજસ્વી યાદવે આપેલા નિવેદન મામલે મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે IPC કલમ 499, 500 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. હરેશ મહેતાએ કોર્ટમાં અરજી આપી જણાવ્યું હતું કે બિહાર ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવે ‘માત્ર ગુજરાતી જ ઠગ હોઈ શકે છે અને તેમને માફ પણ કરવામાં આવશે.’ તેવું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તેમણે અમદાવાદની મેટ્રો કોર્ટમાં વીડિયોની સીડી, પેન ડ્રાઇવના પુરાવા જરૂરી સર્ટિફિકેટ સાથે આપ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં ફરિયાદીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું.