સુપ્રીમ કોર્ટે કહ્યું મંદિરના દાનમાં આવતા નાણાં ભગવાનના, બેંકો તેનો ઉપયોગ ના કરી શકે…

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દેશમાં મંદિરોને મળનારા દાનના નાણાં અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે ટાંક્યું છે કે મંદિરને દાનમાં આપવામાં આવતા નાણાં ભગવાનના છે અને તેનો ઉપયોગ કોઇ સહકારી બેંકને બચાવવા માટે કે તેને સમૃદ્ધ કરવા માટે ના કરી શકાય. આ અંગે કોર્ટની ખંડપીઠે કેરલ હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. આ કેસમાં કેટલીક સહકારી બેંકોએ હાઇકોર્ટના તિરુનલી ટેમ્પલ દેવાસ્થાનના નાણાં પરત કરવાના હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટના પડકાર્યો હતો.
મંદિરના નાણાં ભગવાનના
એક અહેવાલ મુજબ, સીજેઆઈએ પૂછ્યું કે, તમે મંદિરના નાણાં બેંક બચાવવા માટે ઉપયોગ કરી રહ્યા છો. તેમજ એમાં શું ખોટું છે કે મંદિરના નાણાં સહકારીના બદલે રાષ્ટ્રીયકૃત બેંકમાં રાખવામાં આવે. જેનાથી વધુ વ્યાજ મળી શકે. તેમજ મંદિરના નાણાં ભગવાનના છે. તેથી તેને સુરક્ષિત કરવા અને તેનો ઉપયોગ માત્ર મંદિર માટે જ કરવો જોઇએ. આ નાણાં કોઇ સહકારી બેંકની આવક કે તેને ટકાવી રાખવા માટે ઉપયોગમાં ના લેવા જોઇએ.
બે મહિનામાં નાણાં પરત કરવાનો હાઇકોર્ટનો નિર્દેશ
જ્યારે અરજદારોની બેંકોનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મનુ કૃષ્ણને દલીલ કરી હતી કે બે મહિનામાં નાણાં પરત કરવાનો હાઇકોર્ટનો નિર્દેશ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. જેની પર સીજેઆઈએ કહ્યું કે, તમારે જનતા સાથે તમારી વિશ્વસનીયતા સ્થાપિત કરવી જોઈએ. જો તમે ગ્રાહકો અને થાપણોને આકર્ષિત કરી શકતા નથી તો તે તમારી સમસ્યા છે.
કોર્ટે બેંકોને અરજી ફગાવી દીધી
જ્યારે સુપ્રીમ કોર્ટે બેંકોની અરજીઓ ફગાવી દીધી છે. પરંતુ અરજદારોને કેરળ હાઈકોર્ટમાં મુદત લંબાવવા માટે અરજી દાખલ કરવાની છૂટ આપી છે. કેરળ હાઈકોર્ટના ઓગસ્ટના નિર્ણયને પડકારતી અરજીઓ માનથનાવાડી કો-ઓપરેટિવ અર્બન સોસાયટી લિમિટેડ અને થિરુનેલી સર્વિસ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવી હતી.



