યુપીમાં બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું! અરજદારોને આટલા લાખ રૂપિયા વળતર આપવા આદેશ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમ સહીત ઘણા રાજ્યોમાં પ્રશાસન દ્વારા આરોપીઓના ઘર તોડી પાડવાની કાર્યવાહી હંમેશા વિવાદમાં રહી છે. એવામાં સુપ્રીમ કોર્ટે આ ‘બુલડોઝર કાર્યવાહી’ સામે કડક વલણ દાખવ્યું (Suprim Court Bulldozer Action) છે. જેમના ઘર તોડી પાડવામાં આવ્યા હતાં એ તમામ 5 અરજદારોને 10-10 લાખ રૂપિયા વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી છે.
અહેવાલ મુજબ વર્ષ 2021માં પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને ત્રણ અન્ય મહિલાના ઘર તોડી પાડવામાં આવ્યા હતાં, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ઘર તોડી પાડવાની પ્રક્રિયા ગેરબંધારણીય છે. કોઈનું ઘર તોડી પાડવાની આ પ્રક્રિયા નાગરિક અધિકારોનું અસંવેદનશીલ રીતે ઉલ્લંઘન છે. કોર્ટે 6 અઠવાડિયાની અંદર અરજદારોને વળતર ચુકવવા પ્રયાગરાજ પ્રશાસનને આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: બાબાના બુલડોઝર સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ; તોડી પાડવામાં આવેલા ઘરો ફરીથી બાંધી આપવા આદેશ
બેન્ચે દુઃખ વ્યક્ત કર્યું

જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુયાની બેન્ચે કહ્યું કે આ અમારા અંતરાત્માને હચમચાવી નાખે એવું કૃત્ય છે અને રાઇટ ટુ શેલ્ટર નામની પણ કોઈ ચીજ હોય છે. નોટિસ આપવી અને અન્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને પાંચેય પીડિતોને 10-10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
બેન્ચે કહ્યું, “આ વળતર આપવું એટલા માટે જરૂરી છે જેથી ભવિષ્યમાં સરકારો યોગ્ય પ્રક્રિયા વિના લોકોના ઘર તોડી પાડવાનું ટાળે.”
ન્યાયાધીશોએ તાજેતરના એક વિડીયોનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તોડીમાં આવી રહેલા ઘરમાંથી એક બાળકી પોતાના પુસ્તકો લઈને નીકળી રહી છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ દરેક જગ્યાએ અલગ અલગ સ્વરૂપે જોવા મળી રહી છે.
શું હતો મામલો?

રવિવાર, 7 માર્ચ 2021 ના રોજ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વકીલ ઝુલ્ફીકાર હૈદર અને પ્રોફેસર અલી અહેમદ સહિત કુલ 5 લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. અરજદારોએ કોર્ટને જણાવ્યું હતું કે તેમને 6 માર્ચ, શનિવારની રાત્રે નોટિસ મળી હતી.
અરજદારોએ જણાવ્યું હતું કે તેઓ તે જમીનના લીઝ ધારકો હતા જેના પર આ મકાનો બનાવવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે આ સ્થળોને માફિયા અને રાજકારણી અતીક અહેમદ સાથે જોડીને આ કાર્યવાહી કરી હતી.
યુપી સરકારને ફટકાર

યુપી સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ જણાવ્યું હતું કે અરજદારો પાસે 2-3 ઘર છે. આના પર કોર્ટે કહ્યું કે માત્ર એટલા માટે તમને તેમના મકાન પર અચાનક બુલડોઝર ચલાવવાનું લાઇસન્સ નથી મળતું.
કોર્ટની સ્પષ્ટતા
આ સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે કોર્ટ જમીનના અધિકારો અંગે આ ટીપ્પણી નથી કરી રહી. અરજદારે અપીલ અધિકારી સમક્ષ પોતાનો કેસ રજૂ કરવો જોઈએ. આ આદેશ ફક્ત એટલા માટે આપવામાં આવી રહ્યો છે કારણ કે મકાનો તોડી પાડવાની પદ્ધતિ ગેરકાયદેસર હતી.
સુપ્રીમ કોર્ટે અરજદારોને પૂછ્યું હતું કે શું તેઓ પોતાના ખર્ચે ફરીથી મકાન બનાવવા માંગે છે? જો તેઓ જમીન પરનો પોતાનો દાવો હારી જશે, તો મકાનો ફરી તોડી પાડવામાં આવશે. અરજદારોએ, નબળી આર્થિક સ્થિતિને ટાંકીને પોતાના ખર્ચે ફરીથી બાંધકામ કરવાનો ઇનકાર કર્યો હતો.