હોસ્પિટલમાં વસુલાતા મનસ્વી ચાર્જિસ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી, નિયમો લાગુ કરવા આદેશ આપ્યો
નવી દિલ્હી: ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી મનસ્વી રીતે વસૂલવામાં આવતી રકમ અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. 14 વર્ષ જૂના ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (કેન્દ્ર સરકાર)’ ના નિયમોને લાગુ ન થતા, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. નિયમો હેઠળ, રાજ્યો સાથે પરામર્શ કર્યા પછી મેટ્રોપોલિટન મહાનગરો અને શહેરોમાં બીમારીઓની સારવાર અને ઉપચાર માટે પ્રમાણભૂત દરની સૂચના જાહેર કરવી ફરજિયાત છે.
એક અખબારી અહેવાલમાં જણાવ્યા અનુસાર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે તેમણે આ મુદ્દે રાજ્યોને વારંવાર પત્ર લખ્યા છે, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. કોર્ટે કહ્યું કે નાગરિકોનો સ્વાસ્થ્ય સંભાળનો મૂળભૂત અધિકાર છે અને કેન્દ્ર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે કેન્દ્રીય આરોગ્ય સચિવને એક મહિનાની અંદર પ્રમાણભૂત દરોની સૂચના જાહેર કરવા માટે રાજ્યોના આરોગ્ય સચિવો સાથે બેઠક યોજવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે, ‘જો કેન્દ્ર સરકાર આ સમસ્યાનો ઉકેલ શોધવામાં નિષ્ફળ જશે તો અમે સમગ્ર દેશમાં દર્દીઓની સારવાર માટે CGSH-નિર્ધારિત માનક દર લાગુ કરવા માટે અરજદારની અરજી પર વિચાર કરીશું.’
વાસ્તવમાં એનજીઓ ‘વેટરન્સ ફોરમ ફોર ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક લાઈફ’એ સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરી હતી. જેમાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (કેન્દ્ર સરકાર) નિયમો, 2012’ના નિયમ 9 મુજબ દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીનો દર નક્કી કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. આ નિયમ હેઠળ, તમામ હોસ્પિટલોએ તેમના સેવા ચાર્જ વિશે સ્થાનિક ભાષા તેમજ અંગ્રેજીમાં માહિતી આપવાની રહેશે.