ભારતીય ધરતી પરથી ખાલિસ્તાન સમર્થકોને સુનકનો કડક સંદેશ
કહ્યું- હું કોઈપણ રીતે ઉગ્રવાદ સહન નહીં કરું
નવી દિલ્હીઃ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આજથી શરૂ થનારી G20 સમિટમાં ભાગ લેવા માટે શુક્રવારે અહીં પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પત્ની અક્ષતા મૂર્તિ પણ હતા. કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબે, ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસ અને વરિષ્ઠ રાજદ્વારીઓ દ્વારા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત પહોંચ્યા પછી પ્રતિષ્ઠિત મીડિયા હાઉસને આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનકે ઘણા મુદ્દાઓ પર મુક્તિ સાથે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે G20 ના પ્રમુખપદ માટે અને ચંદ્રયાન-3 ની સફળતા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. ખાલિસ્તાનના મુદ્દે પણ બ્રિટિશ પીએમે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું.
સુનકે જણાવ્યું હતું કે “હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે યુકેમાં કોઈપણ પ્રકારની ઉગ્રવાદ અથવા હિંસા સ્વીકાર્ય નથી અને તેથી જ અમે ખાલિસ્તાન તરફી બળવાખોરીનો સામનો કરવા માટે ભારત સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમારી પાસે ગુપ્ત માહિતી શેર કરવા માટે એકસાથે કામ કરતા જૂથો છે, જેથી કરીને અમે આ પ્રકારના હિંસક ઉગ્રવાદને જડમૂળથી ઉખેડી શકીએ. બ્રિટનમાં આ પ્રકારની હિંસા અને ધર્માંધતાને સાંખી લેવામાં આવશે નહીં.”
સુનકે રશિયા અને યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે રશિયા દ્વારા લાદવામાં આવેલા આ યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ઉત્પાદનોની કિંમતોમાં બેફામ વધારો થયો છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કરીને મોટી ભૂલ કરી છે. ભારતે અત્યાર સુધી આ યુદ્ધમાં તટસ્થ વલણ રાખ્યું છે. જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે બ્રિટિશ વડા પ્રધાને કહ્યું હતું કે, “હું ભારતને કહી શકતો નથી કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમનું વલણ શું હોવું જોઈએ. જો કે, હું એ પણ જાણું છું કે ભારત આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરે છે.”