તો હવે વારાણસીના બગીચાઓમાં પણ સાંભળવા મળશે ભજન-કિર્તન…

વારાણસી: કાશીમાં દરેક જગ્યાએ ઘંટના અને ભજનોના અવાજ સંભળવા મળે છે. કહેવાય છે કે કાશીએ મંદિરોનું શહેર છે. ત્યારે હવે તમને જો આ અનુભવ બીજે ક્યાંય કરવો હોય તો વારાણસીમાં જવા જેવું ખરું, આ માટે વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશને એક ખાસ પ્લાન બનાવ્યો છે, જે અંતર્ગત વારાણસીના બગીચાઓમાં ઓડિયો સિસ્ટમ દ્વારા સવાર-સાંજ ભજન સાથે મંગલમની ધૂન વગાડવામાં આવે છે. આ જ રીતે બનારસના બગીચાઓમાં ફરવા અને વોકિંગ માટે આવતા લોકોને આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવશે.
વારાણસીના મેયર અશોક તિવારી તાજેતરમાં ગુજરાતની મુસાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે બગીચાઓમાં ભજનની ધૂન સાંભળી. ત્યાં તેમણે વારાણસી અને બનારસના બગીચાઓમાં પણ આ આધ્યાત્મિક વાતાવરણને અમલમાં મૂકવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે અધિકારીઓને વારાણસીના તમામ બગીચાઓમાં તેને શરૂ કરવા સૂચના આપી હતી.
મેયરની આ સૂચનાને પગલે શહેરના મોટા પાર્કોમાં તેને ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત સવારે બગીચાઓમાં મોર્નિંગ વોક માટે આવતા લોકોને મંગલમ પાઠ અને ભજનો સાંભળવા મળી રહ્યા છે. જ્યારે સાંજે શિવ, દુર્ગા અને અન્ય દેવી-દેવતાઓના સ્તુતિ પણ વગાડવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓ સંદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વારાણસીના શહીદ ઉદ્યાન પાર્કમાં તેને ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે અહીં આવતા લોકોને આધ્યાત્મિક વાતાવરણ મળી રહે. જો કે આ પ્રયોગ ઘણા મોટા અંશે સફળ રહ્યો છે. ત્યારે આ એક અનોખો પ્રયાસ હવે ટૂંક સમયમાં શહેરના અન્ય બગીચાઓમાં પણ લાગુ કરવામાં આવશે.