નેશનલ

‘મારી પાસે કરવા માટે બીજા પણ કામ છે’ કૉંગ્રેસી ટ્રોલર્સને શશિ થરૂરે આપ્યો જવાબ

નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળોએ કરેલા ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનના આતંકવાદ તરફી વલણને દુનિયા સમક્ષ રજુ કરવા ભારત સરકારે સર્વદળિય પ્રતિનિધિમંડળો ઘણા દેશોમાં મોકલ્યા છે. જેમાંથી એક પ્રતિનિધિમંડળની આગેવાની કોંગ્રેસ સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) કરી રહ્યા છે. પાનામામાં એક કાર્યક્રમ દરમિયાન શશિ થરૂરે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી માટે કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. જેના કારણે કોંગ્રેસ પાર્ટીમાં જ તેમની ટીકા થઇ રહી છે, એવામાં શશિ થરૂરે તેમના ટીકાકારોને જવાબ આપ્યો છે.

શશિ થરૂરે એક X પોસ્ટ તેમના વ્યસ્ત શેડ્યુલનો ઉલ્લેખ કરતા લખ્યું,”ટીકાકારો મારા શબ્દોને તોડી-મોડી શકે છે, પણ મારી પાસે કરવા માટે વધુ સારા કામ છે.”

કોંગ્રેસ નેતાએ જ કરી ટીકા:

પનામામાં એક કાર્યક્રમમાં શશિ થરૂરે નિવેદન આપ્યું હતું કે ભાજપ સરકાર હેઠળ પહેલીવાર સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ નિવેદનની કોગ્રેસ નેતા ઉદિત રાજ સહીત ઘણા નેતાઓએ ટીકા કરી હતી. અહેવાલ મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડ થરૂરથી નારાજ છે. ઉદિત રાજે શશી થરૂરને “ભાજપના સુપર સ્પોકપર્સન” ગણાવ્યા હતાં.

થરૂરનો જવાબ:

શશિ થરૂરે X પર એક પોસ્ટ કરીને લખ્યું છે કે મારી પાસે ટીકાકારો માટે સમય નથી. મેં સ્પષ્ટપણે ફક્ત આતંકવાદી હુમલાઓના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહી વિશે વાત કરી હતી, યુદ્ધો અથવા આપણા લશ્કરી ઇતિહાસ વિશે નહીં. મારી ટિપ્પણીમાં તાજેતરના વર્ષોમાં ઘણા હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

શશિ થરૂરે ટીકાકારોને જવાબ આપતા કહ્યું, “પનામામાં લાંબા અને સફળ દિવસ પછી, મારે મધ્યરાત્રિએ કોલંબિયાના બોગોટા માટે છ કલાકમાં નીકળવાનું છે, તેથી મારી પાસે ખરેખર આ માટે સમય નથી. પણ ગમે તે હોય: ભૂતકાળમાં LoC પાર ભારતીય સેનાની કાર્યવાહી અંગે મને જાણ નથી એવું કહેનારાઓ માટે : 1. હું સ્પષ્ટ રીતે ફક્ત આતંકવાદી હુમલાઓ સામે બદલો લેવા વિશે વાત કરી રહ્યો હતો, અગાઉના યુદ્ધો વિશે નહીં; & 2. તાજેતરના વર્ષોમાં થયેલા અનેક હુમલાઓનો ઉલ્લેખ કરીને મેં ટીપ્પણી કરી હતી, LoC અને IB પર ભારતીય સેનાએ આગાઉ કરેલી કાર્યવાહી જવાબદારીપૂર્ણ અને મર્યાદિત રહી હતા.”

આપણ વાંચો:  જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 2 આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું: મોટી માત્રામાં હથિયારો મળ્યા

કોંગ્રેસે કરી ટીકા:

કોંગ્રેસ નેતા ઉદિત રાજે એક પોસ્ટમાં શશી થરૂરને ભાજપના સુપર સ્પોકપર્સન ગણાવ્યા હતાં. કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેરાએ ઉદિત રાજની પોસ્ટ રી શેર કરી હતી.

મીડિયા સાથે વાત કરતા, ઉદિત રાજે થરૂરની ટિપ્પણી પર પ્રહાર કરતા કહ્યું, “1971 શું હતું? મનમોહન સિંહના નેતૃત્વમાં, ઘણી સર્જિકલ સ્ટ્રાઈક થઈ. મોદીજી ભૂલ કરી રહ્યા છે, તેમણે થરૂરને ભાજપના સુપર પ્રવક્તા બનાવવા જોઈએ.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button