ભારત પાકિસ્તાન મેચ વિવાદ અંગે શશી થરુરનું નિવેદન, કહ્યું અત્યંત શરમજનક…

નવી દિલ્હી : આઈસીસી T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ મેચ રમવાના પાકિસ્તાનના ઇનકાર બાદ અનેક ક્ષેત્રોમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પાકિસ્તાનના આ વલણ પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમને પાકિસ્તાનના આ વલણ અત્યંત શરમજનક ગણાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ મેચ યોજાવાની છે.
રમતનું બંને પક્ષો દ્વારા રાજનીતિકરણ કરવામાં આવ્યું
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે જણાવ્યું હતું કે, આ અત્યંત શરમજનક છે. રમતનું બંને પક્ષો દ્વારા રાજનીતિકરણ કરવામાં આવ્યું છે. મને નથી લાગતું કે બાંગ્લાદેશના ક્રિકેટર મુસ્તફિજુર રહમાનને કોલકાતામાં રમવાનો કરાર રદ કરવામાં આવવો જોઈતો હતો. આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. પાકિસ્તાન બાંગ્લાદેશ સાથે એકજૂથતા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સમગ્ર મામલો નિયંત્રણની બહાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો…પાકિસ્તાને ભારત સામેની મેચનો બહિષ્કાર કરતા રાજકારણ ગરમાયું! વિપક્ષે BCCI અને સરકાર પર પ્રહાર કર્યા
રમતના મેદાનમાં આપણે એકજૂથતા દર્શાવવાની જરુર
મને લાગે છે કે ક્રિકેટ જેવી રમત જેનું લોકોમાં ખાસ મહત્વ છે. ત્યારે રમતના મેદાનમાં આપણે એકજૂથતા દર્શાવવાની જરુર છે. મને પ્રામાણિક પણે લાગે છે કે આ બંને પક્ષો માટે એક ચેતવણી છે. તેમજ એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ. આ માટે આઈસીસી મંચ હોઈ શકે છે. તેમજ જો આનો ઉકેલ નહી આવે તો આ મુદ્દો પછી આ રીતે જ ચાલતો રહેશે.

તેઓ મેદાન છોડીને ભાગી ગયા : શશાંક મણિ
જયારે બીજી તરફ ભાજપના સાંસદ શશાંક મણિએ આ મુદ્દે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ ખેલાડીને ખબર પડે છે કે તેઓ જીતી શકશે નહીં, ત્યારે તેઓ મેદાન છોડીને ભાગી ગયા છે. અમે તેમને ઓપરેશન સિંદૂર અને અન્ય યુદ્ધોમાં હરાવ્યા હતા અને તેઓ અહીં પણ હારશે. તેથી તેઓ નથી રમી રહ્યા.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના સર્મથનમાં પાકિસ્તાને T20 મેન્સ વર્લ્ડ કપ 2026 માં ભારત સામેની ગ્રુપ સ્ટેજની મેચનો બહિષ્કાર કર્યો છે. 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ હવે નહીં રમાય. જેના કારણે ICCને મોટો ફટકો પડ્યો છે.



