‘માત્ર 20 મિનિટ માટે રાજ્યસભામાં આવે છે’, શરદ પવારના પીએમ મોદી પર પ્રહાર

નવી દિલ્હી: વરિષ્ઠ રાજકારણી શરદ પવારે મંગળવારે દાવો કર્યો હતો કે જ્યારે સંસદમાં સામાન્ય લોકોના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને નીતિગત નિર્ણયો લેવામાં આવે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર 20 મિનિટ માટે રાજ્યસભામાં આવે છે. તેમણે સંસદના દરવાજે નતમસ્તક થવાના પીએમ મોદીની એક્શનને પણ નાટક ગણાવી હતી.
કોલ્હાપુરમાં હત્યા કરાયેલા ડાબેરી નેતા ગોવિંદ પાનસરેના સ્મારકનું અનાવરણ કરવા માટેના એક કાર્યક્રમમાં ઉપસ્થિત શરદ પવારે પીએમ મોદીનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભારતમાં સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. મુક્ત અવાજને દબાવવામાં આવી રહ્યો છે, મુક્ત લેખન પર નિયંત્રણો લાવવામાં આવી રહ્યા છે, અને સમાચાર ચેનલોને અવરોધિત કરવામાં આવી રહી છે. આનો અર્થ એ છે કે સત્તામાં રહેલા લોકોને મૂળભૂત અધિકારો પરના હુમલાની ચિંતા નથી. પોતાની વાત આગળ વધારતા શરદ પવારે જણાવ્યું હતું કે, “ઝારખંડમાં, એક આદિવાસી મુખ્ય પ્રધાન સામે બનાવટી કેસ ચલાવવામાં આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના મંત્રીઓને જેલમાં નાખીને હેરાન કરવામાં આવી રહ્યા છે.” પવારે રેશનાલિસ્ટ નરેન્દ્ર દાભોલકર અને કન્નડ વિદ્વાન એમએમ કલબુર્ગીની હત્યાઓને પણ યાદ કરી હતી.
પવાર એનસીપી-શરદચંદ્ર પવાર પક્ષના વડા છે. ચૂંટણી પંચે અજિત પવાર જૂથને ‘એનસીપી’ નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપ્યા પછી પવારના પક્ષની રચના કરવામાં આવી હતી. શરદ પવાર એનસીપીના સ્થાપક છે. શરદ પવાર INDIA બ્લોકના સભ્ય છે, જે આગામી લોકસભા ચૂંટણી પછી કેન્દ્રમાં ભાજપને સરકાર બનાવતા રોકવા માટે રચાયેલ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન છે. તેમના ભત્રીજા અજિત પવારના બળવાના મહિનાઓ પછી, ચૂંટણી પંચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથને “વાસ્તવિક NCP” તરીકે માન્યતા આપી હતી અને તેમને પક્ષના નામ અને પ્રતીક, ઘડિયાળનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો હતો.
નોંધનીય છે કે જ્યારે માલદીવના કેટલાક મંત્રીઓએ તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી ત્યારે પવારે જાહેરમાં મોદીને ટેકો આપ્યો હતો. જો કોઈ અન્ય દેશનો કોઈ પણ હોદ્દો ધરાવતો કોઈ વ્યક્તિ આપણા પીએમ પર આવી ટિપ્પણી કરશે, તો અમે તેને સ્વીકારીશું નહીં. આપણે પીએમના પદનું સન્માન કરવું જોઈએ. અમે વડાપ્રધાન વિરુદ્ધ કંઈપણ સ્વીકારીશું નહીં, એમ એ સમયે શરદ પવારે જણાવ્યું હતું