ભાજપના કાર્યક્રમમાં દોડધામ: એક મહિલાનું મૃત્યુ | મુંબઈ સમાચાર

ભાજપના કાર્યક્રમમાં દોડધામ: એક મહિલાનું મૃત્યુ

નાગપુર: નાગપુર શહેર વિસ્તારમાં ભાજપ દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં દોડધામ મચી ગઇ હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ સિવાય અન્ય ચાર જણ જખમી થયા હોવાની માહિતી પણ પોલીસ પાસેથી મળી હતી.

આ ઘટના શનિવારે સવારે આશરે સાડા નવ વાગ્યાની આસપાસ ભાજપ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં બની હોવાનું સક્કરડારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.

ભાજપે બાંધકામ મજૂરોને વાસણો વહેંચવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેને પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ હતી. આ દરમિયાન દોડધામ થતા અફરાતફરી મચી ગઇ હતી અને આ ઘટનામાં મનુ તુલશીરામ રાજપૂત નામની મહિલા બેભાન થઇ ગઇ હતી. મનુ રાજપૂતને ત્યાર બાદ સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ચાર મહિલા પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થઇ હતી. આ મામલે પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

સંબંધિત લેખો

Back to top button