
નવી દિલ્હીઃ હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વાયદાઓની મોસમ પણ ખીલી રહી છે. રાજકીય પક્ષો હવે જનતાને લુભાવવા શક્ય અશક્ય તમામ વચનો આપશે અને તેમને ફુલગુલાબી સપનાઓ બતાવશે. આવી જ વાત કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કરી નાખી છે. તેમણે કોર્ટે આરક્ષણ પર લાદેલી 50 ટકાની મર્યાદાને જ હટાવી નાખવાની વાત કહી છે. તેમણે કહ્યું કે જો ઈન્ડિયા ગઠબંધન સત્તામા આવશે તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે અને આરક્ષણ પણ લાદવામાં આવેલી 50 ટકાની મર્યાદાને હટાવવામાં આવશે. તેમણે પોતાની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આવી જાહેરાત કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની વાત આવે ત્યારે તેઓ ના પાડે છે અને મત માગવાની વાત આવે ત્યારે પોતાની જાતને ઓબીસી કહે છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે દલિતો, આદિવાસીઓ, અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને બંધુઆ મજૂર બનાવવામાં આવ્યા છે અને મોટી કંપનીઓ, હોસ્પિટલો, શાળાઓ, કોલેજો અને અદાલતોમાં તેમની કોઈ ભાગીદારી નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, ભારત સામે આ સૌથી મોટો પ્રશ્ન છે. અમારું પહેલું પગલું દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું રહેશે.
તેમણે એમ પણ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો અમે આરક્ષણ પરની 50 ટકાની મર્યાદા હટાવી દેશું આથી દરેકને ન્યાય મળે. દેશમાં આર્થિક અને સામાજિક ન્યાયની જરૂર છે.
રાહુલની આ વાત મહત્વની સાબિત પણ થઈ શકે કારણ કે દેશમાં ચોમેરથી આરક્ષણની માગ કરવામાં આવે છે અને તે માટે 50 ટકાની મર્યાદા અવરોધક બને છે. એક વર્ગને આરક્ષણ આપવામાં બીજા વર્ગને નુકસાન ન જાય તે જોવાનું રહે છે. દેશમાં પછાતવર્ગ મોટા પ્રમાણમા છે અને ઓબીસી અને દલિતવર્ગ વર્ષોથી કૉંગ્રેસની વોટબેંક રહી છે. જોકે 50 ટકાની મર્યાદા હટાવવી ખૂબ અઘરું કામ છે અને કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.