નેશનલ

કોરોનાના નવા ‘સિંગાપોર વેરિઅન્ટ’ અંગે ICMR-NIV દ્વારા રાહતના સમાચાર: ગભરાવાની નહીં, સાવચેતીની જરૂર

નવી દિલ્હી: કોરોના વાયરસના નવા ‘સિંગાપોર વેરિઅન્ટ’ ની ભારતમાં પુષ્ટિ વચ્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (ICMR-NIV) એ દેશવાસીઓને રાહતના સમાચાર આપ્યા છે. સંસ્થાના નિર્દેશક ડો. નવીન કુમારે જણાવ્યું છે કે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ જે વેરિઅન્ટ્સ ફેલાઈ રહ્યા છે, તેના લક્ષણો સામાન્ય અને હળવા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોવિડ સંપૂર્ણપણે ખતમ થયો નથી, પરંતુ તેની અસર પહેલા જેટલી ઘાતક નથી. આવા સમયે, ગભરાવાની નહીં, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.

ડો. કુમારે જણાવ્યું હતું કે, “અમે કોવિડના વેરિઅન્ટ્સની જીનોમિક તપાસ અને ડાયગ્નોસિસ કરી રહ્યા છીએ. સિંગાપોર અને તેની આસપાસના દેશોમાં કેસોમાં વધારો થયા બાદ અમે જોયું કે તે જ વેરિઅન્ટ ભારતમાં પણ છેલ્લા 5-6 અઠવાડિયાથી જોવા મળી રહ્યો છે. અમે આ અંગે અમારી દેખરેખ અને ટેસ્ટિંગ વધારી દીધી છે.”

ભારતમાં હાલ કયા વેરિઅન્ટ્સ સક્રિય?

ICMR-NIV અનુસાર, ભારતમાં હાલમાં JN.1, LF.7, XFG અને NB.1.8.1 જેવા ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ્સ સક્રિય છે. ડો. કુમારના જણાવ્યા મુજબ, “અમે આ તમામ વેરિઅન્ટ્સને આઇસોલેટ કરી લીધા છે અને અત્યાર સુધી તેમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. મોટાભાગના ચેપ હળવા જ છે.”

સરકારની તૈયારી અને વ્યૂહરચના

ICMRના મહાનિર્દેશક ડો. રાજીવ બહલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે: (૧) સંક્રમણની ગતિ અને કેસોમાં ઝડપ, (૨) શું વાયરસ આપણી કુદરતી કે વેક્સિનથી બનેલી ઇમ્યુનિટીથી બચી રહ્યો છે? અને (૩) શું આ વેરિઅન્ટ્સ પહેલા કરતા વધુ ગંભીર છે કે પછી ઓમિક્રોન જેવા હળવા છે? તેમણે કહ્યું કે, “હાલ મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણો ઓમિક્રોન જેવા જ હળવા અને સામાન્ય છે.”

ડો. બહલે એમ પણ જણાવ્યું કે, જો કોઈ નવો વેરિઅન્ટ ઉભરે છે, તો સરકાર પાસે બે વિકલ્પો છે: એક, હાલની વેક્સિનની અસરકારકતા તપાસવી, અને બીજું, ખાસ કરીને નવા વેરિઅન્ટને લક્ષ્ય બનાવીને નવી વેક્સિન બનાવવી. તેમણે વધુમાં કહ્યું, “અમારી વેક્સિન ડેવલપમેન્ટ ક્ષમતા તૈયાર છે અને જરૂર પડ્યે નવી વેક્સિન ઝડપથી વિકસાવી શકાય છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સરકાર સંપૂર્ણપણે સતર્ક છે.”

આ પણ વાંચો…કોરોનાનો નવો વેરિઅન્ટ XFG: ICMRના પૂર્વ વડાનો ખુલાસો, શું રાખશો સાવચેતી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button