ગજબ ! સ્મશાનમાં અગ્નિદાહ પૂર્વે જીવતો થયો મૃત જાહેર કરાયેલ વ્યક્તિ, જાણો સમગ્ર મામલો

ઝુંઝુનુ : રાજસ્થાનના(Rajasthan) ઝુંઝુનુ જિલ્લામાંથી એક આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્મશાનમાં લાકડાની ચિતા પાસે પહોંચ્યા બાદ એક વ્યક્તિ જીવતો થયો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થયા અને અમુક ભયભીત પણ થયા હતા. જો કે લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પાંચ કલાક પછી વ્યક્તિએ ફરીથી શ્વાસ લેવાનું શરૂ કર્યું
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ આ વ્યક્તિને મૃત જાહેર કર્યા બાદ ડોક્ટરોએ તેના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો. લાશને પણ લગભગ અઢી કલાક સુધી ડી-ફ્રીઝમાં રાખવામાં આવી હતી. આ પછી મૃતકનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃત જાહેર કર્યાના લગભગ ચારથી પાંચ કલાક પછી વ્યક્તિએ ફરીથી શ્વાસ લેવાનું શરૂ કર્યું. આ ઘટના જાણીને દરેક લોકો આશ્ચર્યચકિત થયા છે.
શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજસ્થાનના ઝુંઝુનુમાં બગડ મા સેવા સંસ્થાનના શેલ્ટર હોમમાં રહેતા 45 વર્ષીય રોહિતાશ નામના યુવકની તબિયત ગુરુવારે બગડી હતી. જેને બાદમાં બીડીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ઈમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. રોહિતાશ અનાથ છે અને બહેરો- મૂંગો પણ છે.
મૃતદેહને લાકડાની ચિતા પર મૂકવામાં આવ્યો હતો
જ્યારે તેના મૃતદેહને મા સેવા સંસ્થાનના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સની મદદથી મૃતદેહને પંચદેવ મંદિર પાસેના સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં મૃતદેહને લાકડાની ચિતા પર મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન રોહિતાશે શ્વાસ લેવાનું શરૂ કર્યું.
તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો
પહેલા રોહિતાશે શ્વાસ લેવાનું શરૂ કર્યું અને પછી તેનું શરીર ચાલવા લાગ્યું. મૃતદેહની હિલચાલ જોઈને ત્યાં હાજર લોકો પણ ડરી ગયા હતા. આ પછી તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને રોહિતાશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હવે રોહિતાશ બીડીકે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેમની હાલત સામાન્ય છે.
આ મામલે વહીવટીતંત્ર એક્શનમાં
આ ઘટના અંગે જિલ્લા કલેક્ટર રામાવતાર મીણાએ કહ્યું છે કે માહિતી મળતાની સાથે જ તેમણે સમગ્ર મામલાની તપાસ કરવા જણાવ્યું છે. પોસ્ટ મોર્ટમ ઑફિસર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કલેકટરે જણાવ્યું હતું કે સમગ્ર મામલે મેડિકલ વિભાગના સચિવને જાણ કરવામાં આવી છે. કલેક્ટરના આદેશ પર તહસીલદાર મહેન્દ્ર મુંડ, સામાજિક સશક્તિકરણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પવન પુનિયા પણ હોસ્પિટલ પહોંચ્યા છે.
આ પણ વાંચો ફેક્ટ ચેકઃ શું 1992ના મુંબઈ રમખાણો પર ઉદ્ધવ ઠાકરેએ માફી માગી?
પોલીસે મામલાની તપાસ શરૂ કરી
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોસ્ટ મોર્ટમ ઑફિસર ડો.સંદીપ પાચારની હાજરીમાં હોસ્પિટલમાં ડોક્ટરોની બેઠક ચાલી રહી છે. હોસ્પિટલમાં વહીવટી અધિકારીઓ પણ હાજર છે. બગડ પોલીસ સ્ટેશનના અધિકારી હેમરાજ મીનાએ કહ્યું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.