દિલ્હી નહીં, હવે બનાસકાંઠાથી નિર્ણય લેવાશે: રાહુલ ગાંધીનો કોંગ્રેસને બેઠી કરવાનો માસ્ટર પ્લાન…

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Congress MP Rahul Gandhi) આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કોંગ્રેસ પક્ષમાં (In Congress) આદિવાસી નેતૃત્વને મજબૂત (Tribal Leadership will be Strengthened) કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કોંગ્રેસે X પર એક વીડિયો શેર કર્યો
કોંગ્રેસે શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં રાહુલ ગાંધી આદિવાસી પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. X પર લખ્યું કે, “નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. જળ, જંગલ, જમીન સાથે જ બંધારણીય અધિકારો માટે તેમનો સંઘર્ષ સતત ચાલુ છે. ભલે સામાજિક અન્યાય હોય કે ડિજિટલાઇઝેશનથી જમીન છીનવી લેવી, દેશના આદિવાસીઓ ત્રસ્ત છે. અમે આદિવાસી વર્ગને ન્યાય અપાવવા માટે તેમની સાથે ઊભા છીએ, તેમના અધિકારો માટે લડતા રહીશું.”
વીડિયોમાં રાહુલ ગાંધીએ આદિવાસી પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, “હું તમને પહેલાથી જ જણાવવા માંગુ છું કે મારો ઇન્ટરેસ્ટ શું છે. આપણું એવું આદિવાસી નેતૃત્વ બને કે તેને આપણે કોંગ્રેસ પાર્ટીમાં જોઈએ. હું તમારી કોંગ્રેસ પાર્ટીમાં મદદ કરવા માંગુ છું. તેના માટે તમારે સંગઠિત થવું પડશે અને જે સાચે જ આદિવાસીઓની વાત કરી રહ્યા છે, જે થોડા ડાયનેમિક છે અને આદિવાસીઓ માટે લડી રહ્યા છે, તેમને આગળ કરવા પડશે.”
ગુજરાતમાં શરૂ કર્યા આ નવા પગલાં
તેમણે કોંગ્રેસ દ્વારા લેવાયેલા નવા પગલાં વિશે પણ માહિતી આપી હતી. “અમે નવું પગલું લઈ રહ્યા છીએ. અત્યારે અમે ગુજરાતમાં શરૂ કર્યું છે અને તેમાં અમે 41 નવા જિલ્લા અધ્યક્ષોની પસંદગી કરી છે. જિલ્લા અધ્યક્ષમાં આદિવાસી, દલિત, પછાત, જનરલ કાસ્ટ સહિત તમામ લોકો સામેલ હશે. અમે જિલ્લા અધ્યક્ષને સત્તા આપવા જઈ રહ્યા છીએ, જે ત્યાં કોંગ્રેસને ચલાવશે અને તેની રક્ષા કરશે. અમારી જે વિચારધારા છે, તેની રક્ષા કરશે અને સભ્યપદ વધારશે. જિલ્લા અધ્યક્ષ અમારો નોડલ ઓફિસર બની જશે અને આ વસ્તુ અમે હિંદુસ્તાનના દરેક જિલ્લામાં કરી રહ્યા છીએ.”
શું છે કોંગ્રેસનો પ્લાન?
રાહુલ ગાંધીએ સ્થાનિક સ્તરે નિર્ણય લેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “જોકે, સૌથી મોટી પરેશાની ત્યારે આવે છે, જ્યારે અમદાવાદ કે દિલ્હીથી નિર્ણય લેવાય છે અને તેમાં બનાસકાંઠા માટે કંઈ નથી હોતું. તેથી અમે ઇચ્છીએ છીએ કે બનાસકાંઠા કે અમદાવાદથી જ નિર્ણય લેવાય. અમે જિલ્લા અધ્યક્ષ અને તેની કમિટીને મજબૂત કરીશું અને તેમને આર્થિક સપોર્ટ પણ આપીશું, જેથી તેના માધ્યમથી પાર્ટીને ઊભી કરી શકીએ. આ અમારો પ્લાન છે.”
દરેક રાજ્યમાં 10 થી 15 આદિવાસી નેતાઓ દેખાય
અંતે, રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, “બીજો પ્લાન એ છે કે જો આદિવાસી જિલ્લો છે અને કોઈને તે યુનિટનો ચેરમેન બનાવવામાં આવે છે, તો તેનાથી પણ ટિકિટ વિશે પૂછવામાં આવશે. અમે આના પર કામ કરી રહ્યા છીએ અને અમે ઇચ્છીએ છીએ કે દરેક રાજ્યમાં 10 થી 15 આદિવાસી નેતાઓ દેખાય.” આ નિવેદનો દર્શાવે છે કે કોંગ્રેસ આદિવાસી સમુદાયને પક્ષમાં વધુ સક્રિય ભૂમિકા આપવા અને તેમના અધિકારો માટે લડવા પ્રતિબદ્ધ છે.