નેશનલ

પાક.ના હુમલાથી અસરગ્રસ્ત પૂંચના રહેવાસીઓ માટે રાહત પેકેજ આપવાની રાહુલ ગાંધીની PM મોદીને માંગણી

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા થયો હતો અને પાકિસ્તાને ભારતના અનેક સરહદી વિસ્તારોમાં હુમલા કર્યા હતા. જેનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જમ્મુ કાશ્મીર થયું હતું. આ મુદ્દે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત જમ્મુ-કાશ્મીરના પૂંછ અને અન્ય તમામ વિસ્તારો માટે રાહત અને પુનર્વસન પેકેજ આપવાની માંગ કરી છે.

રાહુલ ગાંધીનો પૂંછનો પ્રવાસ

ગયા શનિવારે રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પૂંછનો પ્રવાસ કર્યો હતો અને અસરગ્રસ્ત લોકો સાથે સમય વિતાવ્યો હતો. આમાં તે પરિવારો પણ શામેલ હતા જેમણે 7 મે થી 10 મે વચ્ચે સરહદ પારથી થયેલા હુમલાઓમાં પોતાના સભ્યોને ગુમાવ્યા હતા. રાહુલ ગાંધીએ ગોળીબારથી પ્રભાવિત ગુરુદ્વારા સિંહ સભા, મંદિર ગીતા ભવન અને મદ્રેસા ઝિયા-ઉલ-ઉલૂમની પણ મુલાકાત લીધી હતી અને ક્રાઇસ્ટ હાઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો: Video: રાહુલ ગાંધીએ પૂંછની મુલાકાત લીધી, પાકિસ્તાનના ફાયરિંગનો ભોગ બનેલા પીડિતોને કહી આ વાત…

પત્રમાં રાહુલ ગાંધીએ શું લખ્યું?

વડા પ્રધાન મોદીને લખેલા પોતાના પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે હાલમાં પૂંછનો પ્રવાસ કર્યો, જ્યાં પાકિસ્તાની ગોળીબારમાં 4 બાળકો સહિત 14 લોકોના દુઃખદ મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પાકિસ્તાની ફાયરિંગથી સામાન્ય વિસ્તારોમાં નુકસાન થયું છે. સેંકડો ઘર, દુકાનો, શાળાઓ અને ધાર્મિક સ્થળો ખરાબ રીતે તબાહ થઈ ગયા છે. ઘણા પીડિતોએ જણાવ્યું કે તેમની વર્ષોની મહેનત એક ઝટકામાં બરબાદ થઈ ગઈ.

પૂંછ અને સરહદને અડીને આવેલા અન્ય ક્ષેત્રોના લોકો દાયકાઓથી શાંતિ અને ભાઈચારા સાથે રહી રહ્યા છે. આજે જ્યારે તેઓ આ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આપણું કર્તવ્ય છે કે આપણે તેમના દુઃખને સમજીએ અને તેમના જીવનને ફરીથી સંતુલિત કરવા માટે શક્ય તમામ સહાય પૂરી પાડીએ. હું ભારત સરકારને આગ્રહ કરું છું કે પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત પૂંછ અને અન્ય તમામ વિસ્તારો માટે એક પુનર્વસન પેકેજ તૈયાર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ગોળીબારનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: સાવરકર પર ટિપ્પણી: સેના (યુબીટી)ના નેતાએ રાહુલ ગાંધીનો ચહેરો કાળો કરવાની ધમકી આપી

પૂંછ ગયા પછી રાહુલ ગાંધીએ કહી આ વાત

રાહુલ ગાંધીએ પૂંછ યાત્રાનો એક વીડિયો શેર કરતા X પર કહ્યું, “પૂંછનું દર્દ ત્યાં જઈને જ અનુભવી શકાય છે. તૂટેલા ઘર, વેરવિખેર જીવન – આ દર્દની ગુંજમાંથી પણ એક જ અવાજ નીકળે છે – આપણે ભારતીય એક છીએ.” તેમણે X પર પોતાની પોસ્ટમાં કહ્યું, “હું વિનંતી નથી કરી રહ્યો, પરંતુ સરકારને તેની જવાબદારી યાદ અપાવી રહ્યો છું – પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત પૂંછ અને અન્ય ક્ષેત્રો માટે એક ઠોસ, ઉદાર અને તાત્કાલિક રાહત અને પુનર્વસન પેકેજ તૈયાર કરવું જોઈએ. આ મદદ નથી, આ એક કર્તવ્ય છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button