નેશનલ

2047 સુધીમાં વિકસીત બનવા ભારતને 8-9% વિકાસ દરની જરૂર; રઘુરામ રાજનનું નિવેદન…

નવી દિલ્હી: કેન્દ્રની ભાજપ સરકારે ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વાયદા કર્યા છે. ફાઇનાન્સિયલ યર 2025 ના ચોથા ક્વાર્ટરમાં ઇન્ડિયન ઇકોનોમિનો ગ્રોથ રેટ 7.4% નોંધાયો હતો, જ્યારે આખા વર્ષ માટે ગ્રોથ રેટ 6.5% નોંધાયો, વૈશ્વિક સ્તરે અશાંત વાતાવરણ વચ્ચે ભારતે મજબુત GDP ગ્રોથ નોંધાવ્યો હતો. એવામાં RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજ(Raghuram Rajan)ને મહત્વનું નિવેદન આપ્યું છે.

એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રઘુરામ રાજને કહ્યું, “હું હંમેશા ભાર પૂર્વક કહેતો આવ્યો છું કે, જો આપણે 2047 સુધીમાં વિકસિત દેશ બનવા માંગીએ છીએ, તો આપણને 8, 8.5 થી 9% વૃદ્ધિ દરની જરૂર છે, કારણ કે આપણે હજુ પણ પ્રમાણમાં ગરીબ રાષ્ટ્ર છીએ.”

રઘુરામ રાજને એમ પણ કહ્યું કે ભારતનો વર્તમાન 6.5%નો વિકાસ દર ખૂબ જ વિશ્વસનીય વિકાસ દર છે. ખાસ કરીને ચૂંટણી ચક્ર દરમિયાન સરકારી ખર્ચ મુલતવી રાખવા અને કામચલાઉ આંકડાકીય બદલાવોને ધ્યાનમાં રાખીને આ સારો વિકાસ દર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે આરામ કરવાનો સમય નથી.

તેમણે એમ પણ કહ્યું કે ભારતે ઉચ્ચ વૃદ્ધિ દર ટકાવી રાખવા માટે નિર્ણાયક રીતે કાર્ય કરવું પડશે. તેમણે કહ્યું કે રોકાણને અનલૉક કરીને, કન્ઝપ્શન બેઝ વધારીને, અને સ્થાનિક અને વિદેશી બંને વ્યવસાયોને ભારતીય અર્થતંત્ર તરફ આકર્ષવા પડશે.

રાજને વધતી જઈ રહેલી વૈશ્વિક અનિશ્ચિતતાને વિકાસનો સૌથી મોટો અવરોધ ગણાવ્યો હતો. તેમણે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને વિકાસ માટે ખતરા રૂપ ગણાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button