નેશનલ

ભારતના ‘ભાગલા’ની જાહેરાત કોણે કરી હતી? જાણો 3 જૂન 1947ના ઐતિહાસિક દિવસનું મહત્ત્વ

ભારત-પાકિસ્તાનના ભાગલાની વાત નીકળે તો આજે 78 વર્ષ બાદ પણ લોકો અવનવા તર્કો સાથે ચર્ચા કરવા માંડે છે. પરંતુ આ અંગે ચર્ચા કરનાર પૈકીના મોટા ભાગના લોકો એ નથી જાણતા હોતા કે ભારત-પાકિસ્તાનના ભાગલા ક્યારે અને કઈ રીતે કરવામાં આવ્યા હતા. ત્રીજી જૂન, 1947ના ભારતના ભાગલાની જાહેરાત કરવામાં આવી હતી અને એ દિવસે શું થયું હતું? આવો જાણીએ.

લોર્ડ માઉન્ટબેટન ભારતના છેલ્લા વાઈસરોય હતા. બ્રિટિશ સરકારે ભારતને આઝાદી આપવાનું કામ તેમના હાથમાં સોપ્યું હતું. ભારતને આઝાદ કરવા માટે માઉન્ટબેટને કૉંગ્રેસની અંતરિમ સરકાર સામે ‘માઉન્ટબેટન યોજના’નો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં ભારતના ભાગલા અને પાકિસ્તાનને સત્તા આપવાની વાત કરવામાં આવી હતી.

દેશમાં એ સમયે રમખાણો ફાટી નીકળ્યા હતા. અંતરિમ કૉંગ્રેસ સરકાર તેને કાબૂમાં કરી શકે તેમ નહોતી. કારણ કે તે સમયે કાયદો અને વ્યવસ્થાપનની સત્તા તેમના હાથમાં ન હતી. આવા સંજોગોમાં રાજકીય અને સાંપ્રદાયિક અવરોધને અટકાવવા માટે ‘માઉન્ટબેટન યોજના’ને મંજૂરી આપવામાં આવી હતી.

‘માઉન્ટબેટન યોજના’ અંગે વાઈસરોય લોર્ડ માઉન્ટ બેટને 3 જૂન 1947ના રોજ રેડિયો પરથી જાહેરાત કરી હતી. રેડિયો પ્રસારણમાં તેમણે જણાવ્યું હતું કે, “મેં ભારતના નેતાઓ સાથે લાંબી ચર્ચા-વિચારણા કર્યા પછી આ પ્રસ્તાવ બ્રિટિશ સરકારને આપ્યો હતો. જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ યોજના ભારતને અખંડ રાખવાના પ્રયાસ કર્યા બાદ પણ અનિવાર્ય થઈ ગઈ, કારણ કે મુસ્લિમ લીંગ અને કૉંગ્રેસ વચ્ચે સહમતિ થઈ શકી નથી.”

આ પણ વાંચો – Nehru Speech: શું નેહરુએ ભારતીયોને ‘આળસુ’ કહ્યા હતા? WATCH

ભારત પાકિસ્તાનના ભાગલાને લઈને સીમા નિર્ધારણ કરવા માટે સિરિલ રૈડક્લિફની અધ્યક્ષતામાં એક સીમા આયોગની રચના કરવામાં આવી હતી. જેણે ભારત અને પાકિસ્તાનની સીમાઓ નક્કી કરી હતી. પંજાબ અને બંગાળના વિસ્તારોનું ધાર્મિક આધાર પર વિભાજન કરવામાં આવ્યું હતું. રજવાડાઓને ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનો અથવા સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button