ટોપ ન્યૂઝનેશનલ

પુરીની ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભાગદોડ મચી, ત્રણના મોત 10 ઘાયલ

પુરી : ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન અકસ્માત સર્જાયો છે. જેમાં રવિવારે સવારે લગભગ 4:30 વાગ્યે જ્યારે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે શ્રી ગુંડિચા મંદિરની સામે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ત્યારે ભાગદોડ અને ધક્કામુક્કી થઈ હતી. જેમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. આ ઘાયલોને સારવાર માટે તાત્કાલિક પુરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભીડ એકત્ર થઈ

આ ઘટના શ્રી ગુંડિચા મંદિરની સામે શારદાબલી નજીક બની હતી. જ્યારે રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભીડ એકત્ર થઈ હતી. જેમાં દર્શન દરમિયાન ભીડને કાબૂમાં રાખવી મુશ્કેલ બની ગઈ અને લોકોએ ધક્કામુક્કી અને ભાગદોડ શરૂ કરી દીધી. જેના લીધે કેટલાક લોકો જમીન પર પડી ગયા અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ છે.

ત્રણેય મૃતકોની ઓળખ થઈ ગઈ

આ દરમિયાન 3 લોકો ભીડ નીચે દટાઈ ગયા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જેમાં બધા મૃતકો ખુર્દા જિલ્લાના હોવાનું કહેવાય છે. મૃતકોમાં 2 મહિલાઓ પ્રભાતી દાસ અને બસંતી સાહુનો સમાવેશ થાય છે. 70 વર્ષીય પુરુષ પ્રેમકાંત મહંતી પણ મૃતકોમાં સામેલ છે.

ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

આ ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમ સતત તેમની સારવાર કરી રહી છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

જગન્નાથ રથયાત્રા સૌથી મોટો ધાર્મિક તહેવાર

ઓડીસાના પુરીની જગન્નાથ રથયાત્રા દેશના સૌથી મોટા ધાર્મિક યાત્રાઓમાંની એક છે. દર વર્ષે લાખો ભક્તો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા પુરી પહોંચે છે. આ રથયાત્રા દરમિયાન ભગવાનને શ્રી મંદિરમાંથી બહાર કાઢીને શ્રી ગુંડીચા મંદિરમાં લઈ જવામાં આવે છે. જ્યાં તેઓ થોડા દિવસો માટે આરામ કરે છે.

આ પણ વાંચો…પુરીની રથયાત્રામાં ભગવાન બલભદ્રના રથને ખેંચતી વખતે 500થી વધુ ભક્તો ઘાયલ થયા, આઠની હાલત ગંભીર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button