આતંકવાદીઓનો ખાત્મો, અભિનંદનની બહાદુરી; આજના જ દિવસે ભારતે લીધો હતો પુલવામાનો બદલો

ભારતીય વાયુસેનાના ગૌરવશાળી ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે એટલે કે 26મી ફેબ્રુઆરીએ ‘બાલાકોટ એર સ્ટ્રાઈક’ને પાંચ વર્ષ થઈ ગયા છે. બાલાકોટ એરસ્ટ્રાઈક 26 ફેબ્રુઆરી, 2019ના રોજ સવારે 3.30 વાગ્યે થઈ હતી. ભારતે પુલવામામાં શહીદ થયેલા પોતાના 40 બહાદુર જવાનોની શહાદતનો બદલો લીધો હતો. 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાના વિમાને નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરીને પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પને નિશાન બનાવ્યા હતા. બાલાકોટ એર સ્ટ્રાઈકમાં 12 મિરાજ 2000 ફાઈટર એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી ભારત દ્વારા પાકિસ્તાનની અંદર આ પહેલો હવાઈ બોમ્બમારો હતો. બાલાકોટ એર સ્ટ્રાઈક એ સાબિત કરી દીધું છે કે ભારત પોતાના દેશ સામેના કોઈપણ ખતરાનો જવાબ આપી શકે છે. આ પહેલા 14 ફેબ્રુઆરીએ પુલવામામાં ભારતીય સુરક્ષા જવાનો પરના આત્મઘાતી બોમ્બ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 40 જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી.
ભારતીય વાયુસેનાએ આ હુમલાનો બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો. બાલાકોટ એર સ્ટ્રાઈક મિશનને ઓપરેશન બંદર નામ આપવામાં આવ્યું હતું. આ અત્યંત સફળ મિશનની કમાન્ડ ભારતીય વાયુસેનાની સાતમી અને નવમી સ્ક્વોડ્રન દ્વારા કરવામાં આવી હતી. આ એર સ્ટ્રાઈક પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ હતી. બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલાના જવાબમાં, પાકિસ્તાન એરફોર્સ (PAF) એ 27 ફેબ્રુઆરીએ ભારતીય સ્થાનો પર હુમલો કરવા માટે વિમાન મોકલીને આક્રમક કાર્યવાહી કરી હતી. પાકિસ્તાને F-16 ફાઈટર પ્લેન વડે જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના F-16 ફાઈટર પ્લેનને પણ તોડી પાડ્યું હતું. આ અદભૂત શૌર્ય પરાક્રમ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન દ્વારા કરવામા આવ્યું હતું. ભારતીય વાયુસેનાના બહાદુર વિંગ કમાન્ડરે તેમના જૂના મિગ-21 ફાઈટર પ્લેન સાથે પાકિસ્તાનમાં ઘૂસીને તેના નવીનતમ F-16 ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હતું. આ દરમિયાન અભિનંદનનું ફાઈટર પ્લેન મિગ-21 ક્રેશ થઈ ગયું હતું અને તે પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં પહોંચી ગયો હતો. પાકિસ્તાને અભિનંદનને પકડી લીધો હતો. જો કે, ભારતના દબાણ હેઠળ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે અભિનંદનને 48 કલાકની અંદર મુક્ત કરી દીધો હતો અને 1 માર્ચ, 2019 ના રોજ, વિંગ કમાન્ડર અભિનંદન અટારી વાઘા બોર્ડરથી ભારત પાછા ફર્યા હતા.