VIDEO: ઘાયલોને જોઇને પ્રિયંકા ગાંધીએ રોકી દીધો કાફલો; પોતાની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા

વાયનાડ: કોંગ્રસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમના લોકસભા ક્ષેત્ર વાયનાડના ત્રિદિવસીય પ્રવાસ માટે શનિવાર રાત્રે કેરળ પહોંચ્યા હતા. આ દરમિયાન કોઝિકોડ એરપોર્ટથી કાલપેટ્ટા જઈ રહ્યા હતા, ત્યારે એક માર્ગ અકસ્માત જોઈને તેણે પોતાનો કાફલો રોકી દીધો હતો. તેમણે ઘાયલોની તપાસ કરવા અને તેમને પ્રાથમિક સારવાર આપવા માટે કાફલામાંથી એક ડૉક્ટરને બોલાવ્યા.
એમ્બ્યુલન્સ ટીમની મદદથી હોસ્પિટલ ખસેડાયા
ત્યારબાદ તેમણે તેમના કાફલામાં હાજર એમ્બ્યુલન્સ ટીમને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપી હતી. કોઝિકોડ જિલ્લામાં એક પરિવારને લઈ જતી કાર બીજી કાર સાથે અથડાઈ હતી. હાલ પ્રિયંકા ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રિયંકા ગાંધી ઘાયલો સાથે વાત કરતા પણ જોઈ શકાય છે. પ્રિયંકા ગાંધી તેમના પતિ રોબર્ટ વાડ્રા સાથે વાયનાડના પ્રવાસે પહોંચ્યા છે.
વાયનાડ બેઠક પર મેળવી જીત
રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પર જીત મેળવ્યા બાદ તેમણે વાયનાડ બેઠક છોડી હતી અને તે બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ મોટા માર્જિનથી જીત મેળવી હતી. તેમણે 4,10,931 મતોના માર્જિનથી જીત મેળવી હતી. પ્રિયંકા ગાંધીની જીત બાદ પ્રથમ વખત સંસદમાં એકસાથે ગાંધી પરિવારના ત્રણ સભ્યો જોવા મળી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે વ્યાપક પ્રચાર કર્યો હતો.
સંગઠન માટે કર્યું છે કાર્ય
પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશથી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી, જ્યાં તેમણે 2019 માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના મહાસચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે 2022 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રચારનું નેતૃત્વ કર્યું હતું પરંતુ પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમણે ડિસેમ્બર 2023 માં ઉત્તર પ્રદેશના AICC મહાસચિવ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આપણ વાંચો: કટકમાં નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી થતાં 3 લોકોના મોત, CMએ આપ્યા તપાસના આદેશ