વડા પ્રધાન મોદીએ ફોન કરી ખડગેની તબિયત અંગે જાણકારી મેળવી, જલ્દી સ્વસ્થ થવા કામના કરી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ને એક રેલી દરમિયાન ચક્કર આવ્યા હતાં અને તેમની તબિયત લથડી હતી. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરી હતી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતાં.
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના જસરોટા વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતાં ત્યારે, ખડગે બીમાર પડી ગયા હતા. તબીબી સહાય મળ્યા બાદ રેલીને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવતા પહેલા તેઓ મૃત્યુ નહીં પામે. તેમની તબિયત ખરાબ થયા અંગે સમાચાર સાંભળતા જ વડા પ્રધાન મોદીએ તાત્કાલિક તેમને ફોન કર્યો હતો, અને તેમની તબિયત અંગે જાણકારી મેળવી હતી.
મલ્લિકાર્જુન ખડગે એ રેલીમાં શું કહ્યું:
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રેલી દરમિયાન કહ્યું કે કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જો ફરી અપાવવા માટે લડશે અને વડાપ્રધાનને સત્તા પરથી હટાવતા પહેલા તેઓ મરવાના નથી.
ભાજપ સરકાર પર રિમોટ કંટ્રોલ દ્વારા જમ્મુ-કાશ્મીર ચલાવવાનો આરોપ લગાવતા ખડગેએ કહ્યું કે આ લોકો ક્યારેય ચૂંટણી કરાવવા માંગતા ન હતાં. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી હતી. અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. ગમે તે થાય, અમે તેને છોડવાના નથી. હું 83 વર્ષનો છું, હું આટલી જલ્દી મરવાનો નથી. જ્યાં સુધી (વડા પ્રધાન નરેન્દ્ર) મોદીને સત્તા પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હું જીવતો રહીશ. હું તમારી વાત સાંભળીશ અને તારા માટે લડીશ.
Also Read –