
નવી દિલ્હી : દેશના સંસદના બજેટ સત્રનો(Parliament Session)બીજો તબક્કો સોમવારથી શરૂ થઈ રહ્યો છે. જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ પર હંગામાની શકયતા છે. જેમાં વિપક્ષ મતદાર યાદીઓમાં કથિત હેરાફેરી, મણિપુરમાં હિંસા અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ભારતના સંબંધો જેવા મુદ્દાઓ ઉઠાવવાની યોજના બનાવી રહ્યું છે. જ્યારે સરકારનું ધ્યાન ગ્રાન્ટ માંગણીઓ માટે સંસદની મંજૂરી મેળવવા, બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવા, મણિપુર બજેટ માટે મંજૂરી મેળવવા અને વકફ સુધારા બિલ પસાર કરવા પર રહેશે.
સોમવારે મણિપુરનું બજેટ પણ રજૂ કરશે
આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા માટે સંસદની મંજૂરી માટે એક વૈધાનિક પ્રસ્તાવ રજૂ કરી શકે છે. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે મણિપુરનું બજેટ પણ રજૂ કરશે. કારણ કે મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ 13 ફેબ્રુઆરીથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.
ચૂંટણી પંચે ટીએમસીના દાવાને ફગાવી દીધો
વિપક્ષે કહ્યું કે તેઓ ડુપ્લિકેટ વોટર ફોટો ઓળખ કાર્ડ (EPIC) નંબરોના મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં, તૃણમૂલ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ત્યારબાદ ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે તે આગામી ત્રણ મહિનામાં સુધારાત્મક પગલાં લેશે. જોકે, ચૂંટણી પંચે ટીએમસીના દાવાને ફગાવી દીધો હતો કે પશ્ચિમ બંગાળમાં અન્ય રાજ્યોના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે મતદાર યાદીઓમાં છેડછાડ કરવામાં આવી હતી.
ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટતા કરી હતી કે કેટલાક મતદારો પાસે સમાન મતદાર ID નંબર હોઈ શકે છે, પરંતુ વસ્તી વિષયક માહિતી, વિધાનસભા મતવિસ્તાર અને મતદાન મથક જેવી અન્ય વિગતો અલગ હશે. ટીએમસીના નેતાઓ સોમવારે ચૂંટણી પંચને મળશે અને બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન સંસદના બંને ગૃહોમાં આ મુદ્દો ઉઠાવવા માટે કોંગ્રેસ, ડીએમકે, શિવસેના-યુબીટી સહિત અન્ય વિપક્ષી પક્ષોનો સાથ મેળવશે.
વકફ સુધારા બિલ પસાર કરાવવા પર ધ્યાન કેન્દ્રિત
કેન્દ્ર સરકાર માટે વક્ફ સુધારા બિલ ઝડપથી પસાર કરવું એ પહેલી પ્રાથમિકતા રહેશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તાજેતરમાં કહ્યું હતું કે સરકાર વક્ફ સુધારા બિલને જલ્દી પસાર કરવા કાર્યરત છે. જે મુસ્લિમ સમુદાયના ઘણા મુદ્દાઓનું નિરાકરણ લાવશે. વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે સંસદની સંયુક્ત સમિતિએ લોકસભામાં બિલ પર પોતાનો અહેવાલ રજૂ કર્યો છે.