PNB સ્કેમમાં નિરવ મોદીના બનેવીને માફી, સીબીઆઈએ બનાવ્યો તાજનો સાક્ષી

મુંબઈ : પીએનબી બેંક સ્કેમ કેસમાં મુંબઈની વિશેષ અદાલતે આરોપી નિરવ મોદીના બનેવી મયંક મહેતાને માફી આપી છે. તેમજ તે આ કેસમાં તેમને તાજના સાક્ષી બનાવવામાં આવ્યા છે. આ અંગે સીબીઆઈની વિશેષ અદાલતે 22 સપ્ટેમ્બરના રોજ મયંક મહેતાની માફીની શરતી અરજી મંજુર કરી છે.
સપ્ટેમ્બર 2021 માં સ્વેચ્છાએ ભારત આવ્યા હતા
નિરવ મોદીના બનેવી મયંક મહેતા બ્રિટિશ નાગરિક છે. તેમજ તે 35 વર્ષથી હોંગકોંગમાં રહેતા હતા. આ કાર્યવાહીમાં ભાગ લેવા સપ્ટેમ્બર 2021માં સ્વેચ્છાએ ભારત આવ્યા હતા. ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સીબીઆઈ નોંધેલા કેસમાં તે આરોપી છે. જયારે મયંક મહેતાએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે તેમને સીબીઆઈ કેસ સહિત મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં પહેલા માફી આપવામાં આવી છે.
અગાઉ મની લોન્ડરિંગ કેસમાં માફી આપવામાં આવી હતી
જયારે તેમના વકીલે અદાલતમાં જણાવ્યું હતું કે, તેઓ કેસની આસપાસના સંજોગોનો સંપૂર્ણ અને સત્ય ખુલાસો કરવા તૈયાર છે. સરકારી વકીલ અરવિંદ અઘાવ દ્વારા રજૂ કરાયેલા ફરિયાદ પક્ષે મહેતાની અરજી સામે વાંધો ઉઠાવ્યો ન હતો અને સ્વીકાર્યું હતું કે અગાઉ PMLA કેસોમાં તેમને માફી આપવામાં આવી હતી. જયારે અદાલતે બંને પક્ષોને સાંભળ્યા બાદ તેમને માફી આપી હતી અને તાજના સાક્ષી તરીકે ઉલ્લેખ કર્યો હતો.