વડા પ્રધાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ₹ ૪૮,૦૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં બે દિવસના અંતરાલ બાદ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે રવિવારે વડા પ્રધાન સૌરાષ્ટ્ર-કચ્છના રૂ ૪૮,૦૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. રાજકોટમાં વડા પ્રધાનનો રોડ શો યોજાશે, ત્યારબાદ જાહેર સભાને સંબોધશે.
વડા પ્રધાનના હસ્તે ગુજરાતને રૂ ૩૫,૭૦૦ કરોડથી વધુની રકમના વિવિધ પ્રકલ્પોની ભેટ મળશે જેમાં કેન્દ્રીય અને ગુજરાત આરોગ્ય વિભાગના અંદાજીત કુલ રૂ.૧૩,૦૦૦ કરોડથી વધુના આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે. તેમજ ૬૩૦૦ કરોડથી વધુના ખર્ચે રાજકોટ એઇમ્સનું લોકાર્પણ અને કચ્છ ખાતે રૂ ૧૬,૨૦૦ કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત તથા કચ્છમાં રૂ ૯,૦૦૦ કરોડથી વધુના ખર્ચે નવા મુંદરા
પાણીપત ક્રૂડ-ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રૂ૩૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે.
કચ્છ અને સુરેન્દ્રનગરના રૂ ૨૧૦૦ કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત પણ વડા પ્રધાન આવતીકાલે રવિવારે કરશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂ ૪૮,૦૦૦ કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, એનએચએઆઇ અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે.