ટોપ ન્યૂઝનેશનલ

એનડીએ શાસિત રાજ્યોને પીએમ મોદીનું તેડુંઃ ઑપરેશન સિંદૂર વિશે ચર્ચાની શક્યતા

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 મેના રોજ એનડીએના તમામ મુખ્ય પ્રધાન અને ઉપ મુખ્ય પ્રધાનની મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ આવવાની સંભાવના છે. આ ઉપરાંત મહારાષ્ટ્રથી અજિત પવાર અને એકનાથ શિંદે પણ હાજર રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ મીટિંગમાં પીએમ મોદી ઓપરેશન સિંદૂર વિશે જાણકારી આપશે. ઉપરાંત રાજકીય સ્થિતિ પર પણ ચર્ચા થઈ શકે છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે સંઘર્ષ અને બાદમાં યુદ્ધવિરામ થવાથી એક વર્ગ નિરાશ હોવાનું કહેવાય છે. જેને લઈ ભાજપનું નેતૃત્વ ગંભીર છે. આ સ્થિતિમાં એનડીએના સાથીઓને વિશ્વાસમાં લેવા આ બેઠક બોલાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહ પ્રધાન અમિત શાહ, રાજનાથ સિંહ જેવા સીનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. આ બંને નેતાઓ ઓપરેશન સિંદૂરને લઈ માહિતી આપશે તેમ માનવામાં આવે છે. આપરેશન સિંદૂરને ભારતીય સુરક્ષા દળની જીત તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે અને આ મુદ્દે કોઈપણ રાજનીતિથી બચવાની સલાહ પીએમ મોદીએ આપી છે. તેમણે કેબિનેટ મીટિંગમાં પ્રધાનોને આ મામલે ટિપ્પણી કરવાથી બચવા કહ્યું હતું.

પીએમ મોદી ઓપરેશન સિંદૂરને લઈ રાજકીય વાદ-વિવાદ ન થાય તેને લઈ સતર્ક છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા પ્રાદેશિક સ્તરે આ અંગે સૂચના આપવામાં આવી છે. ભાજપે કાર્યકર્તાઓને ઓપરેશન સિંદૂર માત્ર આતંકી ઠેકાણાને નાશ કરવા માટે હતું તેમ જણાવ્યું છે. આ ઉપરાંત ભારત તરફથી પાકિસ્તાની સેનાના પણ નિશાન બનાવવામાં આવી ન હોવાનું જણાવાયું છે. મંગળવારે પીએમ મોદીએ પણ આદમપુર એરબેઝ પરથી આપેલા ભાષણમાં આમ કહ્યું હતું.

આપણ વાંચો:  ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કીને ચૂકવવી પડશે મોટી કિંમત, સફરજનની ખરીદી બંધ, પ્રવાસી બુકિંગ રદ

ઓપેશન સિંદૂરનો શું હતો ઘટનાક્રમ

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આના 15 દિવસ પછી, ભારતે 7-8 મે ની રાત્રે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતે આ હવાઈ હુમલાને પહલગામ આતંકવાદી હુમલા પછીની કાર્યવાહી ગણાવી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહી કરી હતી, પરંતુ પાકિસ્તાને તેને દેશ પર હુમલો ગણાવ્યો અને સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાને સતત ચાર દિવસ સુધી ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો હતો. શનિવારે બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા, પરંતુ ચાર કલાકમાં જ પાકિસ્તાને તેનો ભંગ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button