
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી 700 કિલોમીટર લાંબી અરવલ્લી પર્વતમાળાને ફરીથી વનીકરણ કરવા માટે એક ખાસ યોજનાની શરૂઆત કરશે.
લાંબી અરવલ્લી પર્વતમાળાનું વનીકરણ કરાશે
(વડા પ્રધાન ઓફિસ પીએમઓ) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, મોદી ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે ‘એક પેડ મા કે નામ’ યોજના હેઠળ વડનું વૃક્ષ વાવશે. નિવેદન અનુસાર, આ પગલું ‘અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ’નો એક ભાગ હશે, જેનો ઉદ્દેશ્ય 700 કિલોમીટર લાંબી અરવલ્લી પર્વતમાળાને ફરીથી વનીકરણ કરવાનો છે.
આ પણ વાંચો: ગુજરાતનું ગૌરવ: “એક પેડ માં કે નામ” અભિયાનમાં ૧૭.૪૮ કરોડ વૃક્ષો વાવી દેશમાં બીજા સ્થાને
ગ્રીન કવરને વિકસાવવા મહત્ત્વપૂર્ણ પહેલ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ’ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના 29 જિલ્લાઓમાં ફેલાયેલી ભારતની સૌથી જૂની પર્વતમાળાની આસપાસના પાંચ કિલોમીટરના બફર વિસ્તારમાં ગ્રીન કવરને વિસ્તૃત કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વનીકરણ, પુનઃવનીકરણ અને જળાશયોના પુનઃસ્થાપન દ્વારા અરવલ્લીની જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવાનો છે.
સ્થાનિક સમુદાયોને રોજગારી અને આવક મળશે
પીએમઓએ જણાવ્યું હતું કે તે પ્રદેશની જમીનની ફળદ્રુપતા, પાણીની ઉપલબ્ધતા અને આબોહવા સ્થિતિસ્થાપકતા સુધારવામાં પણ મદદ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ સ્થાનિક સમુદાયોને રોજગાર અને આવક ઉત્પન્ન કરવાની તકો પૂરી પાડશે, જેનો તેમને ફાયદો થશે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન દિલ્હી સરકારની ટકાઉ પરિવહન યોજના હેઠળ 200 ઇલેક્ટ્રિક બસોને પણ લીલી ઝંડી આપશે.
આ પણ વાંચો: એક પેડ માં કે નામ અભિયાન હેઠળ સંરક્ષણ મંત્રાલય 15 લાખ વાવશે
અરવલ્લી પર્વતમાળાના 29 જિલ્લામાં વિકસાવાશે
પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના લોન્ચિંગ પ્રસંગે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના મુખ્ય પ્રધાનો હાજર રહેશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ અરવલ્લી પર્વતમાળામાં આવતા 29 જિલ્લામાં લગભગ 1,000 નર્સરી વિકસાવવામાં આવશે.
2023માં ‘અરવલ્લી ગ્રીન વોલ’ની શરૂઆત કરી હતી
સરકારના મતે આ યોજના પ્રદેશમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવામાં મહત્વપૂર્ણ રહેશે અને 2030 સુધીમાં 2.5થી 3 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલી વધારાની કાર્બન શોષણ ક્ષમતા વિકસાવવા અને 26 મિલિયન હેક્ટર ઉજ્જડ જમીનને પુનર્જીવિત કરવા જેવા આબોહવા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. સરકારે માર્ચ 2023માં ‘અરવલ્લી ગ્રીન વોલ’ની શરૂઆત કરી હતી.