‘જે લોકો સોનિયા ગાંધીને જેલમાં નાખવાની માગણી કરતા હતા, તેઓ….. ‘ PM મોદીએ સાધ્યું કેજરીવાલ પર નિશાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 1 જૂનના રોજ છેલ્લા તબક્કાના મતદાન સાથે ચૂંટણી પૂર્ણ થશે. દરમિયાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાણીતા મીડિયા હાઉસને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. તેમણે ભ્રષ્ટાચાર અને તપાસ એજન્સીઓની કાર્યવાહી પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ કેજરીવાલ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે , તેમને જાણ હોવી જોઇએ કે તપાસ એજન્સીઓની કાર્યવાહીમાં મોદીની કોઈ ભૂમિકા નથી. ભ્રષ્ટાચારીઓનો મહિમા મંડન એ દેશ માટે ચિંતાનો વિષય છે. આપણા દેશમાં જ્યારે પણ લોકો ભ્રષ્ટાચારમાં પકડાતા કે કોઈ પર આરોપ લાગતો ત્યારે લોકો સો ડગલાં દૂર રહેતા હતા. આજકાલ વિપક્ષને ખભા પર બેસીને નાચવાની ફેશન બની ગઈ છે. ગઈકાલ સુધી લોકો જે વાતની વકીલાત કરતા હતા તે આજે થઈ રહ્યા છે અને તેથી તેઓ તેનો વિરોધ કરે છે. પહેલા એ જ લોકો કહેતા હતા કે સોનિયા ગાંધીને જેલમાં નાખો.
પીએઓમ મોદીએ દેશ વિરુદ્ધ ખોટા નિવેદનો આપનારા પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પહેલા જ્યારે વિદેશથી વસ્તુઓ આયાત કરવામાં આવતી હતી ત્યારે વિપક્ષો કહેતા કે દેશમાજ ઉત્પાદન કરો અને હવે જ્યારે દેશમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે ત્યારે તેઓ કહે છે કે ગ્લોબલાઇઝેશનનો જમાનો છે અને તમે દેશમાજ વસ્તુ બનાવવાની વાત કરો છો. અમેરિકામા કોઇ એમ કહે કે, ‘Be American, buy American’ તો એની પ્રશંસા કરવામાં આવશે, પણ જ્યારે હું ‘vocal for local’ની વાત કરું તો એવી વાત ફેલાવવામાં આવે છે કે હું વૈશ્વિકરણની વિરુદ્ધ છું.
આ પણ વાંચો : બંગાળના સમુદ્ર તટ પર રેમલ ચક્રવાતનો લેન્ડફોલ શરૂ, PM મોદીએ યોજી સમીક્ષા બેઠક
ભ્રષ્ટાચાર વિશે દેશમાં પહેલા કહેવાતું હતું કે પહેલા નાના નાના લોકોને પકડવામાં આવતા હતા અને મોટી માછલીઓ છૂટી જતી હતી. પછી અમને લોકો સવાલ કરવા લાગ્યા. અમે કહ્યું કે એ અમારું કામ નથી. સ્વતંત્ર એજન્સી એનું કામ કરી રહી છે. ભ્રષ્ટાચાર સામે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. ભ્રષ્ટાચારના મામલામાં જ્યારે મોટા મગરમચ્છો પકડાવા લાગ્યા ત્યારે અમને સવાલ પૂછવામાં આવે છે કે અમે તેમને કેમ પકડી રહ્યા છીએ. જ્યારે સિસ્ટમ ઈમાનદારીથી કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે આ લોકો બૂમો પાડવાનું શરૂ કરે છે.