PM મોદીએ અનુરાગ ઠાકુરના વિડિયોને શેર કરી કહ્યું “ઈન્ડી ગઠબંધનની ગંદી રાજનીતિનો ખુલાસો”

નવી દિલ્હી: આજે મંગળવારે લોકસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બજેટ પર ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાષણ દરમિયાન ઠાકુરે રાહુલ ગાંધી નામ લીધા વિના તેમનાં તરફ ઈશારો કરીને કહ્યું કે ‘જેની પોતાની જાતિની જાણ નથી તે જાતિની વસ્તી ગણતરીની વાત કરે છે’, આ નિવેદન બાદ વિપક્ષી દળો તેમનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. જો કે અનુરાગ ઠાકુરને ભાજપના નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સમર્થન આપ્યું છે.
PM મોદીએ મંગળવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર પોસ્ટ કરીને અનુરાગ ઠાકુરે લોકસભામાં આપેલ સંબોધન પોસ્ટ કર્યું. તેમણે આઆ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “મારા યુવા અને ઉર્જાથી ભરેલા યુવા સાથીદાર અનુરાગ ઠાકુરને જરૂર સાંભળવા જોઈએ. તેમણે તથ્યોને શાનદાર રીતે રજૂ કરીને ઈન્ડી ગઠબંધનની ગંદી રાજનીતિનો પર્દાફાશ કર્યો.”
આજે મંગળવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુરે બજેટ પર પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મહાભારત અને અભિમન્યુનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા હતા. તેમના ભાષણ દરમિયાન, અનુરાગ ઠાકુરે પણ તેમના ચક્રવ્યુહ પર વળતો પ્રહાર કર્યો અને પોતે કોંગ્રેસ અને ગાંધી પરિવારને ચક્રવ્યુહ ગણાવ્યા. સંબોધન દરમિયાન અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીની જાતિઆધારીત વસ્તીગણતરી મુદ્દે પણ વાત કરી અને કોઈનું નામ લીધા વિના કહ્યું કે “જેની પોતાની જાતિની જાણ નથી તે જાતિની વસ્તી ગણતરીની વાત કરે છે.”
અનુરાગ ઠાકુરના આ નિવેદન પર રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે સત્તાધારી પક્ષ ભલે ગમે તેટલી ગાળો આપે પરંતુ અમે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવતા રહીશું. આ સાથે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ અનુરાગ ઠાકુરને ઘેર્યા હતા અને અને આકરા શબ્દોમાં કહ્યું કે કોઈ કોઈની જાતિ કેવી રીતે પૂછી શકે? જો કે ભાજપ અનુરાગ ઠાકુરના સમર્થનમાં જોવા મળી રહી છે.