પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કટોકટી કાળને યાદ કર્યો, કહ્યું બંધારણની હત્યા કરવા આવી હતી

નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના 123મા એપિસોડમાં યોગ દિવસ પર વાત કરી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સફળતાનો ઉલ્લેખ કર્યો. તેમણે કટોકટીની 50મી વર્ષગાંઠ પર પોતાના વિચારો પણ શેર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કટોકટી લાદનારાઓએ આપણા બંધારણની હત્યા જ નહીં પણ ન્યાયતંત્રને પણ ગુલામ રાખવાનો ઈરાદો રાખ્યો હતો. આ સમયગાળા દરમિયાન લોકો પર મોટા પાયે અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. આવા ઘણા ઉદાહરણો છે જે ક્યારેય ભૂલી શકાતા નથી. આખરે જનતા જીતી ગઈ અનેકટોકટી હટાવી લેવામાં આવી અને કટોકટી લાદનારાઓનો પરાજય થયો. તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું દબાવવામાં આવ્યું હતું.
લોકો રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે
પીએમ મોદીએ કહ્યું, તમારા બધા યોગની ઉર્જા અને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની યાદોથી ભરેલા હોવા જોઈએ. આ વખતે 21 જૂને દેશ અને દુનિયાના કરોડો લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લીધો હતો. 10 વર્ષમાં આ ટ્રેન્ડ દર વર્ષે વધુ ભવ્ય બની રહ્યો છે. આ એ પણ સંકેત છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે.વિશાખાપટ્ટનમથી એક અદ્ભુત તસવીર આવી. જેમાં બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ માટે 108 સૂર્યનમસ્કાર કર્યા હતા. વિચારો, કેટલી શિસ્ત, કેટલી સમર્પણતા હશે.
95 કરોડ લોકોને સામાજિક સુરક્ષા યોજનાનો લાભ
પીએમ મોદીએ કહ્યું કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન નો એક અહેવાલ બહાર આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ભારતની 64 ટકાથી વધુ વસ્તી હવે સામાજિક સુરક્ષાનો લાભ મેળવી રહી છે. આજે દેશના 95 કરોડ લોકો કોઈને કોઈ સામાજિક સુરક્ષા યોજનાનો લાભ લઈ રહ્યા છે. વર્ષ 2015 સુધી આ આંકડો 25 કરોડ હતો.
બોડોલેન્ડની ફૂટબોલ ટુર્નામેન્ટનો ઉલ્લેખ કર્યો
આસામના બોડોલેન્ડ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, ‘બોડોલેન્ડ આજે દેશની સામે નવીનતા સાથે ઉભું છે. અહીંના યુવાનોમાં જે ઉર્જા અને આત્મવિશ્વાસ છે તે ફૂટબોલના મેદાન પર સૌથી વધુ દેખાય છે. બોડોલેન્ડ CEM કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માત્ર એક ટુર્નામેન્ટ નથી આ એકતા અને આશાનો ઉત્સવ બની ગયો છે. 3 700 થી વધુ ટીમો, લગભગ 70 હજાર ખેલાડીઓ અને મોટી સંખ્યામાં આપણી દીકરીઓ તેમાં ભાગ લઈ રહી છે. આ આંકડા બોડોલેન્ડમાં મોટા પરિવર્તનની ગાથા કહી રહ્યા છે.
ધાર્મિક યાત્રાઓ માટે શુભકામનાઓ પાઠવી
પીએમ મોદીએ જણાવ્યું કે, થોડા દિવસો પહેલા જ આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ જોઈ છે. ઓડિશા હોય, ગુજરાત હોય કે દેશના કોઈપણ ખૂણામાં લાખો ભક્તો આ યાત્રામાં ભાગ લે છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી, આ યાત્રાઓ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાનું પ્રતિબિંબ છે. હું યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પાઠવું છું.
આ પણ વાંચો…પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું કટોકટી કાળ કોઇ પણ ભારતીય ક્યારેય નહિ ભૂલે…