મહા કુંભમાં રાષ્ટ્રપતિ, વડા પ્રધાન પણ થશે સામેલ

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશવિદેશથી લોકો ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવવા માટે આવી રહ્યા છે. અહીં રોજેરોજ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. મૌની અમાવસ્યાએ તો અહીં કરોડો લોકો ઉમટશે એવી ધારણા છે. હવે એમ જાણવા મળ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો મહાકુંભમાં સામેલ થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ફેબ્રુઆરીએ મહાકુંભમાં આવશે અને તેઓ ત્રિવેણી સંગમમાં ડુબકી પણ લગાવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પહેલી ફેબ્રુઆરીએ આસ્થાના મહાકુંભમાં સામેલ થશે અને રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુ 10 ફેબ્રુઆરીએ મહાકુંભ મેળામાં સામેલ થશે. એવી પણ માહિતી મળી છે કે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ પણ 27 જાન્યુઆરીએ મહાકુંભ મેળામાં સામેલ થશે. તેઓ ગંગા સ્નાન કરશે અને અહીંના અધિકારીઓ સાથે વાતચીત પણ કરશે. આ બધા મહાનુભાવેના આગમન સમયે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારી કરવામાં આવી છે.
Also read: પ્રયાગરાજમાં પીએમ મોદીએ મહાકુંભ માટે કરી પૂજા, જુઓ તસવીરો
હાલમાં સમગ્ર ઉત્તર ભારત ભારે ઠંડીની જાળમાં લપેટાયેલું છે. સવારે અહીં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી હોય છે. તેમ છતાં પણ અહીં આવતા શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ઓછો નથી થયો. 144 વર્ષ બાદ આવેલો આ વખતનો મહાકુંભ ઘણો ખાસ છે. અહીં આવેલા લોકોની ગણતરી એઆઇ આધારિત કેમેરા, સીસીટીવી કેમેરાથી કરવામાં આવી રહી છે. 13મી જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.