નેશનલ

પીએમ મોદીએ પાકિસ્તાનને ચેતવ્યું: કાનપુરી અંદાજમાં કહ્યું દુશ્મન ક્યાંય પણ હોય…

કાનપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ₹ 47,600 કરોડના ખર્ચે 15 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. કાનપુર પહોંચ્યા બાદ પીએમ મોદીએ પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર શહીદ શુભમ દ્વિવેદીના પત્ની ઐશાન્યા દ્વિવેદી સાથે પણ મુલાકાત કરી હતી. આ અવસરે પીએમ મોદીએ કાનપુરની ધરતી પરથી પાકિસ્તાનને સખત શબ્દોમાં ધમકાવ્યું હતું. કાનપુરી અંદાજમાં કહ્યું હતું કે કે, ‘દુશ્મન કહી ભી હો, હોંક દિયા જાયેગા.’

પાકિસ્તાનને યુદ્ધ રોકવા મજબૂર કર્યું
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “આપણે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને સેંકડો માઈલ અંદર જઈને તબાહ કરી દીધા. આપણી સેનાએ એવું પરાક્રમ બતાવ્યું કે પાકિસ્તાની સેનાને યુદ્ધ રોકવાની માંગ કરવા પર મજબૂર થવું પડ્યું. પીએમ મોદીએ કહ્યું કે, “સ્વતંત્રતા સંગ્રામની આ ધરતી પરથી સેનાના આ શૌર્યને વારંવાર સલામ કરું છું.

કાનપુરી અંદાજમાં પીએમ મોદીની ચેતવણી
કાનપુર પહોંચ્યા બાદ પીએમ મોદીએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, “હું સીધેસીધું કાનપુરિયામાં કહું છું કે દુશ્મન જ્યાં પણ હશે ત્યાં ડરી જશે. ઓપરેશન સિંદૂરથી દુનિયાએ ભારતના સ્વદેશી હથિયારો અને મેક ઇન ઇન્ડિયાની તાકાત પણ જોઈ છે. આપણા ભારતીય હથિયારો અને બ્રહ્મોસ મિસાઈલે દુશ્મનના ઘરમાં ઘૂસીને તબાહી મચાવી છે. જ્યાં ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું, ત્યાં જ ધમાકા કરવામાં આવ્યા. આ તાકાત આપણને આત્મનિર્ભર ભારતના સંકલ્પથી મળી છે.”

24 એપ્રિલે થવાનો હતો આ કાર્યક્રમ
પીએમ મોદીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ 24 એપ્રિલે થવાનો હતો, પરંતુ પહલગામ આતંકી હુમલાને કારણે મારે મારો કાનપુર પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો. પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં કાનપુરના દીકરા શુભમ દ્વિવેદીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. દીકરી ઐશાન્યાનું દર્દ અને રોષ આપણે સૌએ અનુભવ્યું છે. આપણી દીકરીઓનું દર્દ અને ગુસ્સો દુનિયાએ ઓપરેશન સિંદૂરના રૂપમાં જોયો.

આતંકવાદ સામેની લડાઈના 3 સૂત્રો
વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી. ભારતે આતંકવાદ સામેની પોતાની લડાઈમાં ત્રણ મુખ્ય સૂત્રો નક્કી કર્યા છે. ભારત દરેક આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપશે. તેનો સમય, રીત અને શરતો આપણી સેનાઓ પોતે નક્કી કરશે. ભારત હવે અણુ બોમ્બની ડંફાસથી ડરશે નહીં અને ન તો તેના આધારે કોઈ નિર્ણય લેશે. આતંકના આકાઓ અને આતંકને પ્રોત્સાહન આપતી સરકારોને ભારત એક જ નજરથી જોશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button