સંજય રાઉતની વિવાદાસ્પદ ટિપ્પણી પર PM મોદીએ કર્યો પલટવાર

મહારાષ્ટ્રના નંદુરબારમાં એક રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ સેના અને કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે ગુરૂવારે પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી શું છે, અમે તો ઔરંગઝેબની પણ કબર ખોદી હતી. આના પર પીએમ મોદીએ કોઇનું પણ નામ લીધા વિના ઉદ્ધવ સેના અને કૉંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે નકલી શિવસેનાવાળા મને જીવતો દફનાવવાની વાત કરે છે, કૉંગ્રેસવાળા કહે છે કે મોદી તારી કબર ખોદીશું અને આ નકલી શિવસેનાવાળા મને જીવતો દફનાવવાની વાતો કરે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, મારી સાથે દુર્વ્યવહાર કર્યા પછી પણ આ લોકો તુષ્ટિકરણનું પૂરું ધ્યાન રાખે છે. તેઓ આ ભાષા તુષ્ટિકરણ માટે બોલાઈ રહી છે. તેઓ સપના જોઈ રહ્યા છે કે તેઓ મોદીને જમીનમાં દફનાવી દેશે. તેમનું રાજકીય મેદાન સરકી ગયું છે. તેઓ નથી જાણતા કે દેશની માતાઓ- બહેનો. મોદીનું રક્ષણ કરશે. દેશની માતાઓ બહેનો મારું રક્ષા કવચ છે. તેઓ મારી રક્ષક છે. હું માતૃશક્તિથી એટલો ધન્ય છું કે તેઓ ઈચ્છે તો પણ મોદીને મૃત્યુ પછી જમીનમાં દફનાવી નહીં શકે.
નોંધનીય છે કે અહમદ નગરમાં એક જનમેદનીને સંબોધતા રાઉતે મોદી અને અમિત શાહને ઉદ્યોગપતિ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે શિવાજી મહારાજ મહારાષ્ટ્રમાં જનમ્યા હતા તેથી મહારાષ્ટ્રનો પોતાનો ઇતિહાસ છે.અને ઔરંગઝેબ ગુજરાતમાં દાહોદ ખાતે જનમ્યો હતો. મોદી અને અમિત શાહનો જન્મ પણ ગુજરાતમાં થયો છે. ઔરંગઝેબ મહારાષ્ટ્રને જીતવા માટે 27 વર્ષ સુધી લડતો રહ્યો, અંતે મહારાષ્ટ્રએ ઔરંગઝેબને જમીનમાં દફનાવી દીધો.