
નવી દિલ્હી : ભારતના પ્રવાસે આવેલા અમેરિકાની ગુપ્તચર એજન્સીના ડિરેકટર તુલસી ગબાર્ડે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)સાથે આજે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ મુલાકાત દરમિયાન તુલસી ગબાર્ડને પ્રયાગરાજના મહાકુંભમાંથી લાવેલું ગંગાજળ ભેટ આપ્યું. મહાકુંભ 2025 પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે યોજાયો હતો. મહાકુંભમાં 66 કરોડથી વધુ ભક્તોએ હાજરી આપી હતી. જ્યારે અમેરિકાની ગુપ્તચર એજન્સીના ડિરેકટર તુલસી ગબાર્ડે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તુલસીની માળા ભેટ આપી હતી.
આ પણ વાંચો: ભારતે Tulsi Gabbard સમક્ષ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધની માંગ કરી
શ્રીમદ્ભાગવત ગીતામાંથી આપણને માર્ગદર્શન મળે છે

હિન્દુ ધર્મનું પાલન કરતી તુલસી ગબાર્ડે ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઘણીવાર સારા અને મુશ્કેલ બંને સમયે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશોમાંથી શક્તિ અને માર્ગદર્શન મેળવે છે.
તુલસી ગબાર્ડએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી

ભારત પ્રવાસ દરમિયાન તુલસી ગબાર્ડએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકામાં સક્રિય ખાલિસ્તાની સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ)ની ભારત વિરોધી પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે અમેરિકા પાસેથી આ ગેરકાયદે સંગઠન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
તુલસી ભારત-અમેરિકાના સંબંધોના મજબૂત સમર્થક
તુલસી ગબાર્ડ રવિવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમણે ગુપ્તચર સહયોગ, સાયબર સુરક્ષા અને સંરક્ષણ સંબંધો પર ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા મુલાકાત દરમિયાન તુલસી ગબાર્ડને મળ્યા. તેમજ તુલસી ગબાર્ડને ભારત-અમેરિકા સંબંધોના મજબૂત સમર્થક તરીકે વર્ણવ્યા હતા.
તુલસી ગબાર્ડનો બીજો વિદેશ પ્રવાસ
અમેરિકાની ગુપ્તચર એજન્સીના ડિરેક્ટર બન્યા પછી તુલસી ગબાર્ડનો આ બીજો આંતરરાષ્ટ્રીય પ્રવાસ છે. આ અગાઉ, તેમણે જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં હાજરી આપી હતી.