પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ સુધી ટેલિફોનિક વાતચીત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા…

નવી દિલ્હી : ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર 35 મિનિટ ચાલી હતી. આ અંગે મળતી માહિતી મુજબ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઓપરેશન સિંદૂર મુદ્દે વાત થઇ હતી. જેમાં ટ્રમ્પની વિનંતી પર આજે બંને નેતાઓએ ફોન પર વાત કરી હતી. આ વાતચીત દરમિયાન ટ્રમ્પ પીએમ મોદીને કેનેડાથી અમેરિકા બોલાવી રહ્યા હતા. પરંતુ વધુ પ્રવાસોમાં વ્યસ્ત હોવાને કારણે પીએમ મોદીએ અમેરિકાની મુલાકાત લેવાનો ઇનકાર કર્યો હતો.
પીએમ મોદીએ આતંકવાદ પર ભારતનો પક્ષ મૂક્યો
ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામ પર ચાલી રહેલા ખેંચતાણ વચ્ચે બંને નેતાઓ વચ્ચે આ પહેલી સીધી વાતચીત હતી.આ અંગે વિદેશ સચિવે જણાવ્યું હતું કે પીએમ મોદીએ આતંકવાદ પર ભારતનો પક્ષ મૂક્યો હતો. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ ભારતનું ઓપરેશન સિંદૂર ચાલુ છે. આ બંને નેતાઓ વચ્ચે ઇઝરાયલ-ઈરાન તણાવ પર પણ ચર્ચા થઈ હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતે કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી. યુદ્ધવિરામ પર અમેરિકા સાથે કોઈ વાત થઈ નથી.
પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધવિરામ થયો
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે ઓપરેશન સિંદૂર સંબંધિત કોઈપણ વિષય પર વેપાર સંબંધિત કોઈ ચર્ચા થઈ નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે ભારતે ફક્ત પાકિસ્તાનની વિનંતી પર જ યુદ્ધવિરામ કર્યો હતો. ભારત ક્યારેય કોઈ તૃતીય પક્ષની મધ્યસ્થી સ્વીકારતું નથી અને ભવિષ્યમાં પણ એવું કરશે નહિ. પીએમ મોદીએ એ પણ ભાર મૂક્યો હતો કે હવે ભારત આતંકવાદની ઘટનાઓને પ્રોક્સી વોર તરીકે નહીં પરંતુ સીધા યુદ્ધ તરીકે જોશે.