મધ્યપ્રદેશને મળ્યા નવા મુખ્યપ્રધાન, મોહન યાદવે શપથ ગ્રહણ કર્યા, વડા પ્રધાન હાજર રહ્યા
![Prime Minister Narendra Modi with the newly sworn-in Madhya Pradesh Chief Minister Mohan Yadav (far right) and others during the oath ceremony, in Bhopal, on December 13, 2023](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Prime-Minister-Narendra-Modi-with-the-newly-sworn-in-Madhya-Pradesh-Chief-Minister-Mohan-Yadav-far-right-and-others-during-the-oath-ceremony-in-Bhopal-on-December-13-2023.webp)
ભોપાલ: મધ્યપ્રદેશમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે રાજ્યને નવા મુખ્ય પ્રધાન મળ્યા છે. મોહન યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે તરીકે શપથ લીધા હતા.
ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન મોહન યાદવની સાથે બે નાયબ મુખ્ય પ્રધાન જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાએ પણ પદના શપથ લીધા હતા. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ ભાજપ હાઈકમાન્ડે મોહન યાદવને મુખ્ય પ્રધાન પદ માટે પસંદ કર્યા હતા. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ભાજપના વિધાનસભ્ય છે અને તેઓ રાજ્યમાં મુખ્ય OBC નેતાઓમાંના એક છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
મોહન યાદવના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, યુપીના મુખ્ય પ્રધાન યોગી, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્ર તોમર મંચ પર હાજર હતા.
મોહન યાદવ 2013માં પ્રથમ વખત ઉજ્જૈન દક્ષિણથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી, તેમણે 2018 અને ફરીથી 2023 માં વિધાનસભા ચૂંટણી જીતી હતી. તેઓ શિવરાજ સિંહ ચૌહાણ કેબિનેટમાં ઉચ્ચ શિક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે.
મધ્યપ્રદેશમાં મોહન યાદવ ઓબીસીનું પ્રતિનિધિત્વ કરે છે. નાયબ મુખ્યપ્રધાન જગદીશ દેવરા દલિત અને રાજેન્દ્ર શુક્લા બ્રાહ્મણ તેમના તરીકે સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. ઠાકુર સમુદાયના નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે.