નિશિકાંત દુબેને પવન ખેરાએ આપ્યો જવાબઃ ટ્વીટના જવાબમાં ટ્વીટ

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ નિશિકાંત દુબે તેમના કોર્ટ ને ન્યાયાધિશ વિશેના નિવેદનોને લઈ વિવાદમાં છે. અગાઉ સુપ્રીમ કોર્ટ અને આજે સીજેઆઈ વિશેની તેમની ટ્વીટ વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે કૉંગ્રેસ નેતા પવન ખેરાએ ટ્વીટ કરી ભાજપ, આરએસએસ અને જનસંઘ પર પ્રહાર કર્યા છે.

ખેરાએ પોતાની લાંબી પોસ્ટમાં લખ્યું છે કે આરએસએસ, જનસંઘ અને ભાજપ દ્વારા ન્યાયિક પ્રક્રિયા, અદાલતો અને ન્યાયાધીશોનો જે રીતે રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો છે તે ઇતિહાસના પાનામાં નોંધાયેલ છે.
તેમણે દુબે સામે સીધો ઈશારો કરતા જણાવ્યું હતું કે નિશિકાંત દુબેએ ગુમાનમલ લોઢાનું નામ કદાચ સાંભળ્યું નહીં હોય. તેઓ ૧૯૬૯ થી ૧૯૭૧ સુધી જનસંઘ રાજસ્થાનના પ્રમુખ હતા. તેઓ ૧૯૭૨ થી ૧૯૭૭ સુધી રાજસ્થાન વિધાનસભાના સભ્ય અને અનેક સમિતિઓના વડા હતા. પછી, જનતા પાર્ટીની સરકારમાં જનસંઘની કૃપાથી, તેઓ 1978 માં રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશ બન્યા હતા. આ સાથે તેમણે લખ્યું છે કે વાત અહીં જ પૂરી નથી થઈ ૧૯૮૮માં ગુમાન માલને ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા. જ્યારે તેઓ ત્યાંથી ગયા ત્યારે તેઓ જનસંઘ અને ભાજપની ટિકિટ પર ત્રણ વખત સાંસદ હતા.
બીજી એક ઘટના તેનાથી પણ ગંભીર છે જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી અને તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટના સ્વતંત્ર ભારતમાં ન્યાયાધીશોના રાજકીય ઉપયોગનું સૌથી મોટું અને શરમજનક ઉદાહરણ છે, તેવી ટીકા ખેરાએ કરી હતી. કે. સુબ્બારાવ ૩૦ જૂન ૧૯૬૬ના રોજ ભારતના નવમા મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા, પરંતુ જન સંઘીઓના દબાણ હેઠળ, તેમણે થોડા મહિનાઓ પછી ૧૧ એપ્રિલ ૧૯૬૭ના રોજ રાજીનામું આપ્યું કારણ કે જન સંઘ અને સ્વતંત્ર પાર્ટી તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા માંગતા હતા.
આપણ વાંચો: બાબા રામદેવે ફરી કોર્ટ સામે હાથ જોડ્યા! હાઈકોર્ટના ઠપકા બાદ ‘શરબત જેહાદ’ની બધી જાહેરાતો દૂર કરશે
સુબ્બારાવે ૧૧ એપ્રિલ ૧૯૬૭ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ પદ પરથી રાજીનામું આપ્યું અને ચૂંટણી મેદાનમાં ઉતર્યા. જોકે, તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા, ઝાકિર હુસૈનજીએ તેમને મોટા માર્જિનથી હરાવ્યા અને જનસંઘના સપનાઓ પર પાણી ફેરવી દીધું. આ સાથે ખેરાએ આજના સમયની વાત કરતા કહ્યું છે કે આ વાત રંજન ગોગોઈ સુધી જાય છે, આજકાલ એક દ્વેષી સંઘીનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, કે કેવી રીતે તેણે પોતાના જમાઈને બચાવવા માટે રામ મંદિરનો નિર્ણય જાહેર કર્યો હતો.