
નવી દિલ્હી: ગઈ કાલે સંસદમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) કેન્દ્રીય બજેટ (Union Budget) રજુ કર્યું, જેની સામે વિપક્ષે નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્રીય બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યોની અવગણ કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના કારણે ચોમાસુ સત્ર દરમિયાન INDIA એલાયન્સના સાંસદોએ હોબાળો કર્યો છે.
આજે લોકસભામાં પ્રશ્નોત્તરીકાળ શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો હતો. જેના પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સખત નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પીકરે કહ્યું કે આ વિરોધ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહ્યો છે. કેટલાક સાંસદોએ મને લેખિતમાં કહ્યું કે સંસદના મુખ્ય દ્વાર પર વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદોએ તેમને અંદર આવતા અટકાવ્યા.
આ અંગે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ પણ કહ્યું કે કેટલાક સાંસદોએ પણ તેમની સામે આવી જ ફરિયાદ કરી છે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિરોધ કરી રહેલા સાંસદોને ગૃહની કાર્યવાહી ચાલુ રહેવા દેવા સુચના આપી હતી. વિપક્ષી સાંસદોએ હોબાળો ચાલુ રાખ્યો. સ્પીકર બિરલાએ કહ્યું કે કાર્યવાહીમાં યોજનાબદ્ધ રીતે વિક્ષેપ પાડવામાં આવી રહ્યો છે. સંસદમાં વિરોધ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ સભ્યને ગેટ પર રોકવો યોગ્ય નથી. મેં ફોન કરીને આ અંગે ચર્ચા કરી છે.
વિપક્ષી INDIA ગઠબંધન સાંસદોએ આજે સંસદ પરિસરની અંદર વિરોધ પ્રદર્શન કર્યું, વિપક્ષી સાંસદોએ કેન્દ્રીય બજેટ 2024 ને ‘ભેદભાવપૂર્ણ’ ગણાવીને આકરી ટીકા કરી અને તમામ રાજ્યો માટે સમાન વ્યવહારની માંગણી કરી. વિપક્ષે સરકાર પર બિહાર અને આંધ્ર પ્રદેશની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો. JDU અને TDPના ટેકાને કરાણે NDA સરકારના ટકી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બજેટ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું “કેન્દ્રીય બજેટમાં ઘણાને ન્યાય મળ્યો નથી. અમે ન્યાય માટે લડી રહ્યા છીએ.”
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કેરળ માટે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે જોગવાઈઓના અભાવ અંગે નિરાશા વ્યક્ત કરી હતી.
શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને તેને ‘કુર્સી બચાવો’ બજેટ ગણાવ્યું. રાઉત કહ્યું કે “એક સમય હતો જ્યારે ગુજરાતના વેપારીઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખંડણીના પૈસા આપતા હતા… મને લાગે છે કે આ જ વેપારીઓએ પોતાની ખુરશી બચાવવા માટે બિહારના નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુને ખંડણીના પૈસા આપ્યા છે.”
TMC સાંસદ સાગરિકા ઘોસે બજેટમાં કોઓપરેટીવ ફેડરાલીઝ્મના અભાવની ટીકા કરી હતી.
Also Read –